રાજકોટઃ સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોનો વિવાદ હજુ હમણા સમસ્યો છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંક્યુ છે. સંપ્રદાયના સાધુનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપી રહ્યાં છે.
સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. દરમિયાન રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે
વાયરલ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે. સાધુના બફાટથી સનાતનીઓ ક્રોધે ભરાયા છે. આ વીડિયોને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી પુરેપુરી સંભાવના છે. વીડિયોમાં દિનેશ પ્રસાદ નામના આચાર્ય કહી રહ્યાં છે કે, તેઓ હિન્દુ ધર્મ અને સનાતનનો વિરોધ કરે છે, અને તેમની પાસે આવવું નહીં, સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે.
દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે
વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.
સનાતનીઓમાં ભારે આક્રોશ
સ્વામિનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવું લાગે છે. આ વીડિયોને લઈને સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે માટેલ મંદિરના પુજારીની પ્રતિક્રિયા સામે આવી છે. પુજારીએ સંતને તાત્કાલિક માફી માંગવા કહ્યું છે.
નૌતમ સ્વામીએ પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
જણાવી દઇએ કે આ પહેલા વડતાલ મંદિરના નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. તેમજ ભગવાન સ્વામિનારાયણે કળયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.