મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે નાના પાટેકરને ‘અસભ્ય’ માણસ કહ્યા હતા. જોકે, સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ માને છે કે તે નિર્દોષ છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતિય સતામણીના આક્ષેપો લગાવ્યા બાદ આ મામલે એક પછી એક લોકો નિવેદનો આપી રહ્યા છે.
“હું નાના પાટેકરને ઓળખું છું. તે નિર્દોષ છે. તેઓ ઘણું ગાંડપણ કરી ચુક્યા છે પરંતુ હું નથી માનતો કે તેઓ આવું કંઈ કરી શકે. આ બાબતે કોર્ટ યોગ્ય લાગશે તે કરશે. મીડિયાએ આ અંગે શું કરવું જોઈએ? #MeToo ખરેખરે ગંભીર મુદ્દો છે. તેના પર ટ્વિટર પર ચર્ચા કે આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરવા અયોગ્ય છે.” અમરાવતી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ વાત કરી હતી.
#MeTooને ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, આ મુદ્દે સોશિયલ મીડિયામાં ડિબેટ કરવી જોઈએ નહીં. સાથે જ તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ, ડોલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો અને દેશમાં બેરોજગારોની વધી રહેલી ફોજના સમાચારોને દબાવવા માટે પણ આ ચળવળને હવા આપવામાં આવી રહી હોઈ શકે છે.
raj thackeray
આ પ્રસંગે રાજ ઠાકરેએ એવી પણ જાહેરાત કરી હતી કે, મહિલા સાથે કોઈ અનિચ્છનિય થાય છે તો તેઓ મનસેનો સંપર્ક કરી શકે છે. અમે આરોપીઓને સબક શીખવશું. મહિલાઓએ જ્યારે તેમની સાથે કંઈ અણછાજતું વર્તન થાય ત્યારે તાત્કાલિક અવાજ ઉઠાવવો જોઈએ, 10 વર્ષ પછી નહીં.