દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ (Omicron) સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાનાં દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર
સમગ્ર વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) એ ચિંતાનું મોજું ફેરવ્યુ છે. WHO નાં જણાવ્યા અનુસાર આ વેરિઅન્ટ ઘણો ખતરનાક છે. જણાવી દઇએ કે, આ વેરિઅન્ટનું ઉદ્ભવ સ્થાન દક્ષિણ આફ્રિકા કહેવાય છે. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાનાં દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે અને તેઓ કોવિડ-19નાં નવા વેરિઅન્ટનાં ઉદભવથી સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઓમિક્રોન નામનાં કોવિડ-19નાં નવા સ્વરૂપનાં ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. ગાંગુલીએ અહીં એક પ્રમોશનલ ઈવેન્ટમાં કહ્યું, “આ પ્રવાસ અત્યારે જ થશે. અમારી પાસે હજુ પણ નિર્ણય લેવાનો સમય છે. પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી રમાશે. અમે તેના પર નજર રાખીશું.” ભારત 3 ડિસેમ્બરથી મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે, ત્યારબાદ ટીમ ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં 8 અથવા 9 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. ગાંગુલીએ કહ્યું, “ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા BCCIની પ્રથમ પ્રાથમિકતા રહી છે. આવનારા દિવસોમાં શું થાય છે તે જોઈશું.” પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી ફોર્મમાં ચાલી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનાં સમર્થનમાં એક નિવેદન આપતા કહ્યુ કે, તે સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કર્યા પછી ટીમમાં તેનું સ્થાન પાછું મેળવશે. તેણે કહ્યું, “તે એક સારો ક્રિકેટર છે. તે ફિટ નથી, તેથી જ તે ટીમમાં નથી. તે યુવાન છે, મને આશા છે કે તે ઈજામાંથી પરત આવશે.
આ પણ વાંચો – IPL 2022 / Retain કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર, MI અને CSK એ રીટેન્શનમાં મારી બાજી
આપને જણાવી દઇએ કે, ભારત ‘A’ ક્રિકેટ ટીમ મંગળવારથી બ્લૂમફોન્ટેનમાં દક્ષિણ આફ્રિકા A વિરુદ્ધ બીજી બિનસત્તાવાર ટેસ્ટ શરૂ થઇ છે. નવો ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ વૈશ્વિક ચિંતાઓમાં વધારો થયા છતા ભારતીય બોર્ડે દક્ષિણ આફ્રિકામાં સીરીઝ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વરિષ્ઠ ટીમ પણ 17 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ રમશે, ત્યારબાદ વનડે અને ચાર T20I રમશે. વિરાટ કોહલી અને તેની ટીમ 9 ડિસેમ્બરે ત્યાં પહોંચશે.