કેપટાઉન,
છ મેચોની વન-ડે શ્રેણીમાં ૨-૦ની સરસાઈ ભોગવી રહેલ ટીમ ઇન્ડિયા આવતીકાલે કેપટાઉન ખાતે યજમાન દેશ સામે ત્રીજી વન-ડે મેચ રમવા ઉતરશે. ત્યારે ટીમનુ લક્ષ્યાંક વધુ એક વિજય સાથે શ્રેણીમાં અજય સરસાઈ મેળવી લેવાનુ રહેશે. પ્રથમ બે વન-ડે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ બુલંદી પર છે.
ખાસ કરીને સ્પિનર જોડી યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં જણાઈ રહ્યા છે. તેમની સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો લાચાર જણાઈ રહ્યા છે. ત્યારે ભારત ફરી એકવાર આ સ્પિનર જોડી સહારે મેચ જીતવા મેદાને ઉતરશે.
બેટિંગમાં પણ વિરાટ કોહલી, શિખર ધવન, અજિંક્યે રહાણે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. બાકી બેટ્સમેનોને હજી સુધી પોતાનુ પર્ફોમન્સ બતાવવાની તક મળી નથી. પરંતુ જરુર પડે તેઓ પણ ટીમ માટે મહત્વનુ યોગદાન આપી શકે છે.
બીજીબાજુ દક્ષિણ આફ્રિકાની મુશ્કેલીમાં એકબાદ એક વધારો થઈ રહ્યો છે. એબી ડીવીલીયર્સ બાદ કેપ્ટન ફાક ડુ પ્લેસીસ અને હવે વિકેટકિપર-બેટ્સમેન ડી કોક પણ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે.
ત્રણ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકા માટે ભારત જેવી મજબુત ટીમને પડકાર આપવો મુશ્કેલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા પાસે કોઈ ક્વોલીટી સ્પિનર બોલર નથી. તેમજ ઝડપી બોલરો પણ અપેક્ષા મુજબનુ પ્રદર્શન કરી શક્યા નથી. ત્યારે સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં નબળી જણાતી દક્ષિણ આફ્રિકા સામે ભારતને વધુ એક વનડે જીતવાની પૂર્ણ તક રહેશે.