અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા આતંકી સંગઠન તરફથી ધમકી આપવામાં આવી છે. આતંકવાદી સંગઠન TRFનો ધમકીભર્યો પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. TRF તરફથી ધમકીભર્યો પત્ર જારી કરીને આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ અમરનાથ યાત્રાને લઈને ધમકી પત્ર જાહેર કર્યો છે. પત્રમાં આતંકી સંગઠને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. સંગઠનનું કહેવું છે કે તેઓ યાત્રાના વિરોધમાં નથી, પરંતુ જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દા સાથે નહીં જોડાય ત્યાં સુધી યાત્રાળુઓ સુરક્ષિત છે.
બીજી તરફ શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર/ટીઆરએફના 2 સ્થાનિક સંકર આતંકવાદીઓની ધરપકડ કરી છે. આઈજી કાશ્મીરનું કહેવું છે કે 15 પિસ્તોલ, 30 મેગેઝીન, 300 રાઉન્ડ અને 1 સાઈલેન્સર સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ તેને પોતાની માટે મોટી સફળતા માની રહી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શનિવારે આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા સંબંધિત તમામ કાર્યો પૂર્ણ કરવાની અંતિમ તારીખ 15 જૂન નક્કી કરી હતી અને કહ્યું હતું કે વહીવટીતંત્રની પ્રાથમિકતા શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ સુનિશ્ચિત કરવાની છે.
સિંહાએ અહીં રાજભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ડેપ્યુટી કમિશનર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે યાત્રાળુઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ સુનિશ્ચિત કરવી એ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. તેમણે શ્રી અમરનાથજી યાત્રાને લગતા તમામ કાર્યો પૂર્ણ કરવા માટે 15 જૂનની અંતિમ તારીખ નક્કી કરી હતી. આ યાત્રા આ વર્ષે 30 જૂનથી પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર શરૂ થશે.