Gujarat News : ગુજરાતમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન કોરોનાથી બે વ્યક્તિના મોત પણ નીપજ્યા છે. તેમછત્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કોરોના જોખમી લાગતો નથી. ઋષિકેશ પટેલે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે કોવિડ હવે જીવનનો હિસ્સો છે. વર્ષે-બે વર્ષે આવો એકાદ મહિનો આવતો રહે છે.
આરોગ્યમંત્રીના આ નિવેદન વચ્ચે આજે(2 જૂન) સવારે ફરી એકવાર તંત્રની કોરોનાને લઈને પોલંપોલ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતો હોવાનું જાણવા મળ્યું હતું. દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે.
અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના કુલ કેટલા કેસ છે અને મૃત્યુ થાય છે એની માહિતી હું આપને મેળવીને કહું છું…કડીમાં એક કાર્યક્રમ દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનામાં જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ છે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા એ વાત સાબિત પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પણ જેને લક્ષણો દેખાય તો તેને પોતાની જાતને કોરોન્ટીન કરવી જોઇએ તથા સિમ્પ્ટમેટિક સારવાર દ્વારા એ જાતે સાજા થઈ શકે છે. ચિંતાનો વિષય નથી.
ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા જેવો જ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ
લગભગ વર્ષે-બે વર્ષે આવો એકાદ મહિનો આવતો પણ હોય છે અને હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા પ્રકારના રોગો છે આ જે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે. એ જીવનનો હિસ્સો થયો છે એ હું માનું છું.
મૃત્યુ થવાના કારણ બીજા પણ હોઈ શકે છે
મૃત્યુ થવાનું કારણ બીજું પણ હોઈ શકે, કોઇને નાના-મોટા પ્રકારની બીમારી હોય અને એ બીમારીના કારણે અને સાથે જ તેને આ પ્રકારના વાઇરસનો ચેપ લાગે ત્યારે સમયસર સારવાર ન લેતાં અથવા તો ઈગ્નોર કરતાં કોઈ ને કોઈ મુશ્કેલી પડી શકે છે. એવું મારું માનવું છે.
કોરોનાની રી-એન્ટ્રી છતાં તંત્ર બેદરકાર
AMC આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પ્રથમ નાગરિકને તેમજ સત્તાધીશોને પણ કોરોના અંગેની માહિતી આપવામાં આવી રહી નથી, જેથી સ્પષ્ટ છે કે આરોગ્ય વિભાગ કોરોનાની રી-એન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતો નથી.
શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી.
રાજકોટમાં 7 કોરોના કેસ નોંધાયા
રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ છે.
કુલ 6 દર્દી હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થયા
આજના 2 સહિત કુલ 6 દર્દી હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થઈ ગયા છે. એક દર્દી ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે, પણ તેની તબિયત સ્થિર છે, બાકીના 37 દર્દી હજુ પણ હોમ આઇસોલેટેડ છે. તમામની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.ગઈકાલે 5 નવા કેસ નોંધાયા હતા
ગઇકાલે 1 જૂને રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસોમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે.
ગઈકાલે નોંધાયેલા 5 કેસની વિગતવાર માહિતી
માસ્તર સોસાયટી: અહીં 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રૈયા રોડ નજીક: 69 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયાં છે.
ઉમા પાર્ક: 52 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અતિથિ ચોક નજીક: 56 વર્ષીય પુરુષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.
સોપાન હાઇટ્સ: અહીં 25 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. આજે નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોના કેસની ટાઇમલાઇન
19 મે: રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશપ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. રાહતની વાત એ રહી કે હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે સકારાત્મક શરૂઆત સાબિત થયો હતો.
23 મે: શહેરનો બીજો કેસ શિવ પાર્ક વિસ્તારમાં રહેતી 39 વર્ષની એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નોંધાયો.
24 મે: શહેરમાં વધુ બે નવા કેસ સામે આવ્યા, જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આ બંને દર્દીને પણ તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું હતું.
26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું.
27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો, કારણ કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા. આ કેસો નોંધાતાંની સાથે જ આરોગ્યતંત્ર વધુ સક્રિય બન્યું, જોકે આ તમામ 6 દર્દીની તબિયત પણ સ્થિર હતી, જે એક સકારાત્મક પાસું હતું.
28 મે: 28 મેની રાત સુધી રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા. આ કેસો બિગબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને એમાં એક મહિલા, એક સગીર અને ત્રણ પુરુષનો સમાવેશ થતો હતો. આ દર્દીઓ પણ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યાં છે.
30 મે: આ દિવસે રાજકોટમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 6 પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
31 મે: રાજકોટમાં 4 મહિલા અને 4 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જોકે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જે રાહતની વાત છે.
1 જૂન: આજે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈને કુલ દર્દીઓની સંખ્યા 37 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાંથી પણ વધુ 1 કેસ નોંધાતાં કુલ કેસની સંખ્યા 2 થઈ છે.ભારતમાં કોવિડ-19ના 4 નવા વેરિયન્ટ મળ્યા
ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે.
અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી.
કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે.
કોરોનાના સંક્રમણને રોકવા માટે આટલું કરો
માસ્કનો ફરજિયાત ઉપયોગ: ઘરની બહાર નીકળતી વખતે અને જાહેર સ્થળોએ માસ્ક અવશ્ય પહેરો.
સામાજિક અંતર: એકબીજાથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવો. ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો.
હાથની સ્વચ્છતા: સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
લક્ષણો પર ધ્યાન: શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવાં કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ડોક્ટરની સલાહ લો.
રસીકરણ: જેમણે હજુ સુધી રસી લીધી નથી, તેમણે વહેલી તકે રસીના બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ લઈ લેવા જોઈએ.
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
આ પણ વાંચો:સુરતમાં યુવતીને 16 વર્ષના કિશોર સાથે થઈ ગયો પ્રેમ! અપહરણ કર્યુ અને પરત ફર્યા…
આ પણ વાંચો:સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
