ગીર સોમનાથ/ કેસરી કેરીના ગઢ તાલાળામાં આ તારીખથી શરૂ થશે હરાજી, કેરીના ઉત્પાદન પર પણ પડશે અસર

ગીર વિસ્તારમાં હજારો હેકટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને તાઉતે વાવાઝોડા ની અસરનાં કારણે કેસર કેરીના ઉત્પાદકો ની માઠી દશા બેઠી છે.

Gujarat Others
કેસર કેરીના
  • તાલાળા નાં મેંગો માર્કેટમાં કેસરની હરાજી
  •  26-એપ્રિલથી શરૂ થશે કેસરની હરાજી
  •  કેસરનું ઉત્પાદન માત્ર 20 થી 30 ટકા
  •  કેસર કેરીના ઉત્પાદકો ની માઠી દશા

કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા(ગીર) નાં મેંગો માર્કેટમાં આગામી 26-એપ્રિલથી શરૂ થશે કેસરની હરરાજી.આ વર્ષે  ઉતાવળે આંબા ન પાકતા ગીરમાં કેસરની હરરાજી મોડી.કેસરની સિઝન તાલાળા મેંગો માર્કેટમાં એક મહિના જેટલી કટકે કટકે કેરીના બોક્સ આવશે.ગત વર્ષની તુલનાએ આ વર્ષ કેસરનું ઉત્પાદન માત્ર 20 થી 30 ટકાજ રહેશે તેવું ખેડૂતો, વેપારીઓ અને મેંગો માર્કેટના અધિકારી ઓ જણાવી રહ્યા છે. ગીર વિસ્તારમાં હજારો હેકટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને તાઉતે વાવાઝોડા ની અસરનાં કારણે કેસર કેરીના ઉત્પાદકો ની માઠી દશા બેઠી છે.ચાલુ વર્ષે કેસર કેરી નું ઉત્પાદન અડધાથી પણ ઓછુ થવાની શકયતા છે.વાતાવરણની વિષમતા અને આંબામાં આવતા વિવિધ રોગોએ નાની કેરીને એમજ સુકવી નાખી છે.

કેરીની વૃદ્ધિ અટકી રહી છે.માંગ અને પુરવઠાની બાબતને ધ્યાને લેતા કેસર કેરીના ભાવ આસમાને આંબશે તે વાત નક્કી બની છે.આથી કેસર રસિયાઓ માટે કેસર કડવી બનશે તેવું દર્શાઈ રહ્યું છે.તો આ વર્ષ કેસર એક્સપોર્ટ પણ થવાની શકયતા પણ નથી.ગીર વિસ્તારમાં હાલ ઉનાળો તેનું કૌવત બતાવી રહ્યો છે.તાપમાન વધે તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે.પણ ગત વર્ષે વાવાઝોડાએ ગીર નાં આંબાવાડિયા ઓને ખેદાન-મેદાન કરી નાખ્યા હતા.

આંબાનાં મૂળ હલી ગયા હોય મોટાભાગનાં બગીચાઓમાં આવરણ ઓછું આવ્યું હતું.વાતાવરણની વિષમતાને કારણે હજુ પણ એકજ આંબામાં હજુ મોર પણ છે નાની ખાખડી પણ છે અને મોટી કેરી પણ જોવા મળી રહી છે.દર વર્ષ તાલાળા મેંગો માર્કેટમાં સરેરાશ 6 થી 8 લાખ કેસરનાં બોક્સ આવે છે.જે આ વર્ષ માત્ર 3 થી 4 લાખ બોક્સ આવવાની સંભાવના યાર્ડના અધિકારીઓ દર્શાવી રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોને કારણે ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો રહ્યો છે.જે વાસ્તવમાં ચિંતા નો વિષય છે.હજ્જારો કુટુંબો ગીર વિસ્તારમાં કેસર કેરીની ઉત્પાદન વેચાણ પર નિર્ભર છે.આવા પરિવારો માટે પોતાનું ગુજરાન કેમ ચલાવવું તે ચિંતાનો વિષય છે.વર્તમાન કેસરની સિઝન એકાદ મહિનો ચાલશે પણ બોક્સની આવક ખૂબ ઘટશે કારણ ઉત્પાદન જ ઓછું છે.આથી.વચ્ચે બ્રેક પણ આવશે.ખેડૂતો અને વેપારીઓ પણ સતત ચિંતિત છે.દિનપ્રતિદિન મોંઘવારી વધી રહી છે.ત્યારે કેરીના પાકને પણ પાક વીમો આપવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં તાલાળા મેંગો માર્કેટમાં કેસરનાં બોક્સની આવકને જોઈએ તો…

વર્ષ 2016-17 માં 10,66,860 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ-283/-રૂપિયા.

વર્ષ 2017-18 માં 10,67,755 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -265/-રૂપિયા.

વર્ષ 2018-19 માં 08,30,340 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -310/-રૂપિયા.

વર્ષ 2019-20 માં 07,75,395 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -345/-રૂપિયા.

વર્ષ 2020-21 માં 06,87,931 બોક્સની આવક સામે પ્રતિ બોક્સનો સરેરાશ ભાવ -375/-રૂપિયા રહ્યો હતો.

(ઉપરોક્ત વિગતમાં એક બોક્સમાં 10 કિલો કેરી ભરવામાં આવે છે.)

આ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં ગીર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન ઘટતું ગયું છે.તેમ ભાવ થોડા વધ્યા પણ છે.પરંતુ આ વર્ષ નબળામાં નબળી કેરીના એક બોક્સનો ભાવ 550 થી 600 રૂપિયા અને સારામાં સારી કેરીનો ભાવ 1000 થી 1500 રૂપિયા રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

ગીરમાં કેસર કેરીનાં આંબાઓમાં ગત વર્ષે કૂકાયેલા વાવાઝોડાની અસરથી ગીરમાં ઉના-ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી.વાવાઝોડા ની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાનાં મૂળ તૂટી જવા સાથે મુળિયામાં હલચલ થતા આંબાવાડી ઓમાં દર વર્ષે ચાલતી ક્રિયાની કુદરતી સાઇકલ ખોરવાઇ ગઈ છે. જેના કારણે આંબામાં મોર ઓછા ફૂટતા અને જે મોર ફૂટ્યાં તે આખરી તબક્કામાં ફૂટ્યાં તો ખેડૂતોમાં બંધારણની ફરિયાદ હતી. નવેમ્બર માસથી આંબાઓ માં મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડુતો એ આંબામાં આવતાં રોગ મધિયો, ફૂગ, કથીરી જેવા રોગો સામે દવાનો છટકાવો કર્યા. જોકે હાલ ગીરમાં 35 થી 40 ડિગ્રી તાપમાનમાં રોગો તો દૂર થઈ રહ્યા છે.

શરૂઆતનાં પ્રથમ તબક્કાનું જે ફલાવરિંગ આંબાઓમાં થયું હતું તેમાં કેરી બંધાઈ ચુકી હતી પણ માવઠું થવાને કારણે તેમાં નુકશાન ગયું.હાલમાં ત્રણ તબક્કાનું ફલાવરિંગ આંબાઓમાં જોવા મળી રહ્યું છે. શરૂઆતની કેરી 20 થી 30 દિવસમાં પાકી જશે.જેનો શરૂઆતી ભાવ 1500 થી 2 હજાર રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે. બીજા તબક્કાની કેસરનો ભાવ પણ ઉંચો જ રહેવા પામશે.જ્યારે ત્રીજા તબક્કાની કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે ત્યારે ચોમાસું આંબી જવાની સંભાવના રહેલી છે.માટે ત્યારે પણ ભાવ ઊંચા રહેશે.જો ભાવ ઘટી જાય તો ખેડૂતોને મોટી નુકશાની જઈ શકે.ઓછા ઉત્પાદન ને કારણે ભાવો તો જળવાઈ રહેશે. પણ ખર્ચના પ્રમાણમાં ખેડૂતો અને ઇજારદાર ની આવક ઘટી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2019-20 માં 16 હજાર હેકટરમાં આંબાનાં બગીચા ઓ હતા. જેમાં તાઉતે વાવાઝોડાને કારણે 2200 હેકટરમાં આંબાઓનો નાશ થયો અને મોટાપાયે નુકશાની થઈ હતી. આથી હાલમાં 13800 હેકટર જમીનમાં આંબાનું વાવેતર ગીર વિસ્તારમાં છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમા વાવાઝોડું, માવઠાઓ,ઝાંકળ,કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે 150 થી 200 હેકટર જમીન માંથી આંબા કાપી અને ખેડૂતોએ પોતાની

જમીનમાં બીજા પાકો વાવ્યા છે.

વર્તમાન સમયમાં વાતાવરણની વિષમતાને કારણે ગીર વિસ્તારમાં કેસરનું ઉત્પાદન ઘટશે. સામે 10 કિલોનાં એક બોક્સનો ભાવ ન્યૂનતમ 1000 થી 1200 રૂપિયા રહેશે. આમ છતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય વળતર મળતું નથી.તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: કૈલાશ ગઢવી

મંતવ્ય