અમદાવાદમાં મહિલાઓ પર થતા અત્યાચારના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ વધુ એક ફરિયાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં દહેજની માગણી અને સસરા દ્વારા એકથી વધુ વખત છેડતી થતી હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે.
ડી-કેબીન પાસે સાબરમતીની પરિણીતા રાધિકા (નામ બદલ્યું છે)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં તેણે લગ્ન પછી સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આતો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે રાધિકાએ લગ્ન પછી સાસરિયાના બધા લોકો એક થઈને તેને ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાધિકાના લગ્ન 28 નવેમ્બર 2019ના રોજ નવરંગપુરામાં ચિંતન જયેન્દ્ર પંડ્યા સાથે થયા હતા. રાધિકા જણાવે છે કે, લગ્નના બીજા જ દિવસથી તેને કામની સામાન્ય બાબતોમાં મેંણાટોંણા મારીને ગંદી ગાળો બોલીને પરેશાન કરવામાં આવતી હતી. સમય જતા સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ અને તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. તેને અવાર-નવાર પરેશાન કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
રાધિકા પોલીસ ફરિયાદમાં જણાવે છે કે, એક દિવસ તે એકલી હતી ત્યારે તેના સસરા જયેન્દ્ર શંકલાલ પંડ્યાએ એકલતાનો લાભ લઈને તેની પાસે પહોંચી ગયા હતા અને તેની સાથે અડપલા કર્યા હતા. આ રીતે એકવાર જાહેરમાં પણ અડપલાં કરીને જાતીય સતામણી કરવાની સસરાએ હિંમત કરી હોવાનું રાધિકાએ જણાવ્યું છે. તેની સાથે સાસરિયમાં વિશ્વાસઘાત થયો હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.
પરિણીતા રાધિકા જણાવે છે કે, તે લગ્ન સમયે જે સ્ત્રીધન પોતાની સાથે લાવી હતી તે પણ સાસરિયા પક્ષે પોતાની પાસે રાખી લીધું છે અને તેને પરત નથી આપતા. પોતાને સાસરિયામાં અપાતા ત્રાસમાં પતિ અને સાસુ-સસરા સિવાય તેણે પોતાના નણંદ અને નણદોઈનું પણ નામ લખાવ્યું છે.