ગુજરાતમાં કોરોના કેસનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે તેમાં પણ ખાસ કરી ને 4 મહાનગરોમાં કોરોના કેસનું પ્રમાણ એટલું છે કે હોસ્પિટલોમાં બેડ ફુલ્ જોવા મળે છે જેનાથી એમ્બ્યુલન્સને લાંબી લાઈન માં ઉભું રહેવું પડતું હોય છે .ત્યારે રૂપાણી સરકાર દ્વારા આ પરિસ્થિતિને નિવારવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 150 એમ્બ્યુલન્સ ખરીદવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વધતા જતા કોરોનાના કોહરામ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 1100 માંથી 900 કરાયો છે. તો લેબમાં જઈ ટેસ્ટ કરવાનો ચાર્જ 800નો 700 કરાયો છે.