અમદાવાદ,
અમદાવાદને પોલ્યુશન મુક્ત બનાવવા માટે શહેરના રસ્તાઓ પર ઇલેક્ટ્રીક એરકડીંશન્ડ બસો દોડતી કરવામાં આવશે તેમ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું.
અમદાવાદની જાણીતી હોટલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશન દ્વારા યંગ થિંકર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં યુવાઓ સાથે સંવાદ કરતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરને કેવી રીતે સ્માર્ટ સીટી બનાવી શકાય તે વિશે માહિતી આપી હતી.
વિજય નેહરાએ સ્વચ્છતાને લઈને ઘોષણા કરતા કહ્યું હતું કે,
2019 માં ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં 150 માં જન્મદિવસની ઉજવણી કરશે. મહાત્મા ગાંધી સ્વચ્છતા બાબતે ખુબ ચુસ્ત હતા. જેથી મહાત્મા ગાંધીનાં 2019 માં આવતી 150 મી જન્મતિથિને ખાસ બનાવવા માટે 2 ઓક્ટોબર 2018 થી અમદાવાદમાં સ્વછતા બાબતે એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદને ભારતવર્ષનું ક્લીનેસ્ટ સિટી બનાવવા તરફ કોર્પોરેશન પોતાનું ધ્યાન દોરી રહ્યું છે. અમદાવાદમાં કચરાનો હિમાલય કહેવાતા પીરાણાનો પણ યોગ્ય રીતે નિકાલ કરવા તરફ પર પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કાર્ય મુશ્કેલ છે પરંતુ જો અમદાવાદની જાગૃત જનતા સાથ આપશે તો આ બાબત પણ સંભવ જણાઈ રહી છે.
કમિશનર વિજય નેહરાની સાથે યુવાઓએ પણ પોતાનાં વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે અમદાવાદને “સ્માર્ટ સિટી” બનાવવા પહેલા અમદાવાદનાં નાગરિકોને “સ્માર્ટ સીટીઝન” અને જાગૃત નાગરિક બનવું પડશે.
વિજય નેહરાએ વાહન વ્યવહાર પ્રણાલીને સુવ્યવસ્થિત બનાવવા માટે પણ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આપણે હવે ભાવિ પેઢી અને ભાવિ સમયને ધ્યાનમાં લેતા ઈંધણયુક્ત વાહનોને યાંત્રિક વાહનો તરફ આગળ વધવું પડશે. જે અંતર્ગત અમદાવાદને ઇલેક્ટ્રિક એસી બીઆરટીએસ બસની સુવિધા આપી અપાવવા માટે 6 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે. આથી વિશ્વમાં સૌથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરતા ત્રીજા ક્રમે આવતા ભારતને અમદાવાદ શહેરથી પ્રેરણા મળશે અને વાયુ પ્રદુષણમાં પણ ઘટાડો નોંધાશે.
કોન્ફરન્સમાં ભાગ લેતા એક યુવાને વિજય નેહરાને પૂછ્યું હતું કે, તમે એવાં ક્યાં-ક્યાં પુસ્તકો વાંચો છો જેથી તમને આટલાં સારા કાર્યો કરવાની પ્રેરણાં મળે છે?
નેહરાએ યુવાનને જવાબ આપ્યો હતો કે સવારથી લઈને સાંજ સુધી હું “અમદાવાદ” નામનું પુસ્તક જ વાંચું છું.