એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે બપોરે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલા EDની ટીમે NCP નેતાની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. ધરપકડ બાદ NCP નેતાની જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સુનાવણી દરમિયાન EDએ આરોપી મલિકના રિમાન્ડ માટે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટે નવાબ મલિકને 8 દિવસ એટલે કે 3 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે.
મહારાષ્ટ્ર સરકારે નવાબ મલિકની પૂછપરછ સામે વાંધો ઉઠાવ્યો છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીઓ અજિત પવાર, છગન ભુજબળ, હસન મુશરફ, દિલીપ પાટીલ અને રાજેશ ટોપેએ શરદ પવારના ઘરે ભાવિ કાર્યવાહી અંગે બેઠક યોજી હતી.
આવામાં એનસીપીએ નવાબ મલિકનું રાજીનામું ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. શરદ પવારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે અમે ભાજપ સામે ઝૂકીશું નહીં. એવું જાણવા મળે છે કે ટીએમસીના વડા મમતા બેનર્જીએ પણ સૂચન કર્યું હતું કે એનસીપીએ નવાબનું રાજીનામું સ્વીકારવું જોઈએ નહીં.
TMC સુપ્રીમો મમતા બેનર્જીએ નવાબ મલિકની ધરપકડ અંગે NCP પ્રમુખ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે નવાબ મુદ્દે વિપક્ષી એકતાની વાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ જે રીતે ED અને CBIનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે મજબૂત સંયુક્ત એકતા જરૂરી છે.