શ્રીલંકામાં આર્થિક-રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. આ દરમિયાન ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ગયા છે, જેનાથી લોકોમાં નારાજગી છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામું આપ્યું નથી, જેના કારણે નારાજ લોકોએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. હાલમાં શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.બીજી તરફ ગોટાબાયા રાજપક્ષે હાલ માલદીવમાં છે. અહીંથી તે દુબઈ જવાનો છે. આર્થિક સંકટ વચ્ચે ગુસ્સે ભરાયેલા લોકોએ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો અને પીએમના ખાનગી આવાસને આગ લગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભાગી જવાના કારણે ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉશ્કેરાયેલી ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સેનાના વાહનને પણ રોકી દીધું છે. બીજી તરફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાંથી ભાગીને માલદીવ પહોંચી ગયા છે. માલેના વેલાના એરપોર્ટ પર માલદીવ સરકારના પ્રતિનિધિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની જાહેરાત મુજબ આજે તેઓ રાજીનામું આપવાના હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષે, તેમની પત્ની અને બે અંગરક્ષકો ગઈકાલે રાત્રે કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટથી માલે જવા માટે લશ્કરી વિમાનમાં સવાર થયા હતા. અહેવાલો અનુસાર, તેમના નાના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષે પણ દેશ છોડી દીધો છે.