બાળકને કોઈ બાબતને લઈને ઠપકો આપવાનો હક્ક માં બાપને મળેલો છે. કુદરત અને દેશના કાયદાએ આ હક્ક માં બાપને આપેલો છે. માં બાપને જો કોઈ વાત યોગ્ય ના લાગે તો પોતાના બાળકને ઠપકો પણ આપી શકે છે.અને બાળકને તે ઠપકાનું કોઈ પણ રીતે ખોટું લગાવાની જરૂર હોતી નથી. હા, કહીને પોતાના માં બાપની વાતોને સાંભળવી જોઈએ અને તેનો અમલ પણ કરવો જોઈએ. પરંતુ, કેટલાક બાળકો એવા પણ હોય છે કે જે માં બાપના ઠપકાથી ઝડપથી રિસાઈ જતા હોય છે અને તેમની વાતોને મન ઉપર લઈને ન કરવાનું કામ કરી બેસતા હોય છે. આવી જ એક ઘટના જામનગર શહેરમાં બની હતી.
જેમાં જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીને માતાએ ટીવી બંધ કરી પરિક્ષાની તૈયારી કરવાનું કહેતાં માઠું લાગી આવવાથી તેણીએ એસિડ પી લીધું હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. જ્યારે જામજોધપુરના પાટણમાં એક પ્રૌઢે અગમ્ય કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંંત આણ્યો છે. આ બન્ને બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં હિતેષભાઈ ગુલાબભાઈ ટંકારીયા નામના દરજી પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી ઉર્વિશાએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લેતાં આ યુવતીને ૧૦૮ મારફત જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવની પોલીસને જાણ કરાતાં જી. જી. હોસ્પિટલ પોલીસચોકીના એએસઆઈ મગનભાઈ ચનિયારા દોડી ગયા હતા. તેઓએ હિતેષભાઈ ટંકારીયાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ઉર્વિશા ધોરણ બારમાં અભ્યાસ કરે છે. આ યુવતી ગઈકાલે સવારે પોતાના ઘરે ટીવી નીહાળતી હતી ત્યારે માતાએ ટીવી બંધ કરી દેવા અને પરિક્ષાની તૈયારી કરવા સૂચન કરતાં માઠું લાગી આવતા ઉર્વિશાએ જલદ પ્રવાહી પી લીધું છે.
તે નિવેદનની નોંધ કરાયા પછી સારવારમાં રહેલી આ યુવતીનું ગઈકાલે સાંજે સારવાર દરમ્યાન જ મૃત્યુ નિપજયું છે. સીટી એ ડીવીઝનના જમાદાર ડી. એમ. જાડેજાએ મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતાં વીરમભાઈ નગાભાઈ પરમાર નામના પંચાવન વર્ષના મેર પ્રૌઢે રવિવારે બપોરે કોઈ અકળ કારણથી પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડાયેલા આ પ્રૌઢનું ગઈકાલે મૃત્યુ થયાનું પુત્ર રણજિતભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યું છે. જામજોધપુરના જમાદાર જી. આઈ. જેઠવાએ આગળની કાર્યવાહી કરવા ઉપરાંત આ પ્રૌઢના ઝેરી દવા પીવા પાછળના કારણને જાણવા તપાસ શરૃ કરી છે.