ભરૂચ નગરપાલિકાનું વધુ એક ભોપાળુ બહાર આવ્યું છે. જેમાં ભરૂચના ભોલાવના જ્યોતિનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાછળના ભાગે ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મિત પામેલ ફાયર સ્ટેશનનું ગુજરાતના સી.એમ. વિજય રૂપાણી દ્વારા ઇ-લોકપર્ણ કરવામાં આવ્યું હતું. જોકે ઇ-લોકપર્ણ સમયે ફાયર સ્ટેશનની કામગીરી અધૂરી હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા. જોકે છ મહિના બાદ આજદિન સુધી ફાયર સ્ટેશનની કામગીરી અધૂરી છે. જ્યાં એકપણ ફાયર ફાઇટર, બાઉઝર, કે અગ્નિશામક દળના સાધનો જોવા મળ્યા ન હતા. કાચો રસ્તો, ઉગી નીકળેલ ઝાડી ઝાકરડાથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે, ફાયર સ્ટેશનની અધૂરી કામગીરી હોવા છતાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને તંત્રને ઉતાવળે લોકપર્ણ કરાવવા માટે જ રસ હતો.
તેમજ નવનિયુક્ત પ્રમુખને આ ફાયર સ્ટેશનની અધૂરી કામગીરી કરવામાં કોઈ રસ ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વસ્તી વધારા અને ટ્રાફિકમાં સમયસર પહોંચી લોકોના જાનમાલને નુકશાન થતું અટકાવવાના આશય સાથે ફાયર સ્ટેશનને શરૂ કરવા નક્કી કરાયા બાદ નિષ્ક્રિય નગરપાલિકા તંત્રને લોકોના જાનમાલની કોઈ પડી ન હોવાનું આ નજારો જોયા બાદ ફલિત થાય છે. જેથી “આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવું પડે” તેવી કહેવતને અનુસરી અધૂરી કામગીરી પણ, પૂર્ણ ઇ-લોકાપર્ણ થયેલ ફાયર સ્ટેશનને આધુનિક ફાયર સાધનોથી સજ્જ કરી વહેલીતકે પૂર્ણતઃ કામ કરી સાચા અર્થમાં લોકોને અર્પણ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા લોકમાંગ ઉભી થઇ છે.