રાજકોટની સમગ્ર દેશમાં મુખ્યમંત્રીના હોમટાઉન અને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ છે. હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ એક બાદ એક શિખર સર કરી અને રાજકોટ અગ્ર હરોળમાં પહોંચવા બન્યું છે.રાજકોટ શહેરમાં 70 ટકા લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી છે અને આ સંખ્યા હજુ પણ વધારવા માટે સ્પોટ રજિસ્ટ્રેશન બાદ હવે કેમ્પ પણ કરવા માટે આયોજન થયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં 70 ટકા રસીકરણ થઈ ગયું છે અને હવે 1.25 લાખ લોકો રસી લ્યે એટલે 80 ટકા કરતા વધુ કવરેજ થઈ જશે જેથી ત્રીજી લહેર સામે રાજકોટ વધુ સુરક્ષિત થઈ જશે.કેમ્પ કઈ રીતે કરી શકાય તે મામલે તંત્રએ જણાવ્યું હતું કે, આયોજકો ઓછામા ઓછા 200 લોકો જે વેક્સિન લેવા ઈચ્છતા હોય તેમનું લિસ્ટ આપે એટલે કેમ્પને મંજૂરી અપાશે. ત્યારબાદ 20થી 30ની સંખ્યા વચ્ચે લોકોને બોલાવાશે જેથી ભીડ ન થાય.
ટોપ-3માં સ્થાન મળે તેવા તમામ પ્રયાસો : મેયર પ્રદીપ ડવ
રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ વેક્સિનની દૃષ્ટિએ રાજ્યમાં ચોથું સ્થાન ધરાવે છે, અને ટોપ-3માં સ્થાન મળે તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. સુપરસ્પ્રેડર્સને ખાસ ટાર્ગેટ કરાઈ રહ્યા છે હવે કેમ્પની મંજૂરી મળતા આયોજન કરી રહ્યા છીએ કે મોટા હોકર્સ ઝોન કે માર્કેટ હોય ત્યાં જ વેક્સિનેશન કેમ્પ રાખી શકાય જેથી ફેરિયાઓને ત્યાં જ રસી અપાઈ જશે અને જે લોકો ખરીદી કરવા આવ્યા છે અને રસી નથી લીધી તેઓ પણ રસી લઈ શકે.
રસીકરણની સરેરાશમાં બમણો વધારો
રાજકોટના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જે લોકો રસી લેવા ઈચ્છુક હતા તેમજ ટેક્નોલોજીના જાણકાર હતા તે તમામે રસી લઈ લીધી છે. જે લોકોને સ્લોટ બુક કરવામાં કે રજિસ્ટ્રેશનમાં સમસ્યા થતી હતી, જ્ઞાનનો અભાવ હતો તેમજ રાહ જોઈને થાક્યા હતા તેઓ બાકી રહી ગયા હતા. સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થતા આવા લોકોએ પણ રસી લેવાનું શરૂ કર્યું છે. આ કારણે સંખ્યામાં વધારો આવ્યો છે સપ્તાહ પહેલા દરરોજની સરેરાશ 4000ની હતી જે સ્પોટ રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે 6200 અને બીજા દિવસે 8280 થયું છે જે બમણો વધારો દર્શાવે છે.
જાગૃતિ માટેના તમામ પ્રયત્નો અંગે તબીબોને વિશ્વાસ
તબીબોના જણાવ્યા અનુસાર હવે જે લોકો બાકી રહ્યા છે તેમાં અંધશ્રદ્ધા ધરાવતા તેમજ અફવાઓથી ઘેરાયેલા એમ બે પ્રકારના વર્ગ બાકી રહ્યા છે. આ તમામને સમજાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે ઘરે ઘરે જઈને રસીના ફાયદા સમજાવાશે.કોઇપણ સ્થળે કેમ્પ થાય તો જે તે સમાજ કે સંસ્થા તેને પોતાનું નામ આપી શકશે પણ રસી લેવા ઈચ્છતી કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે. સંસ્થા, સમાજ કે ધર્મ પૂરતો જ કેમ્પ રાખી શકશે નહિ તે પણ શરત રાખવામાં આવી છે.