ગુજરાત : ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફ્ળ રહી છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ રજુઆત કરતાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગ કરી છે.
ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાતા ઠેર-ઠેર વિરોધનો વંટોળ ઉઠયો હતો. રૂપાલાનો વિવાદ વધુ વકરતા રૂપાલા સહિત પાટિલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. છતાં પણ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. આ વિવાદમાં શંકરસિંહ વાઘેલાના નિવેદને પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાને ભાજપ ઉમેદવારમાંથી દૂર નહી કરે ત્યાં સુધી એવું જ માનવામાં આવશે કે રૂપાલાની આપત્તિજનક ટિપ્પણીમાં પક્ષની માર્મિક સંમતિ છે.
રાજકોટ બેઠકના પરના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને દૂર કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ વિરોધ એટલો વધ્યો છે કે તેમાં ક્ષત્રિય સમાજના યુવાનોથી લઈને મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે રૂપાલા વિવાદ મામલે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ક્ષત્રિય સમાજ તરફથી જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના આગેવાનોએ બેઠકમાં હાજરી આપી હતી. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે હવે આ મામલે બીજી કોઈ બેઠકની સંભાવના નથી.
આ પણ વાંચો:UPSC/યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી
આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા
આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે