છેલ્લા ઘણા વર્ષોથી સુરજપુરા ગામલોકોની માંગણીઓનો અંત આવ્યો છે. ધારાસભ્ય નૌશાદ સોલંકીના હસ્તે સુરજપૂરાથી જરવલા સુધીના માર્ગ નિર્માણનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતુ. સુરજપુરા ગ્રામજનોની વર્ષો જૂની માંગણી પુરી થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
પાટડી તાલુકાનું સુરજપુરા ગામ તાલુકા મુખ્ય મથકથી સાવ નજીકનું હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી સૂરજપુરાથી જરવલાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હતો. અને આથી લોકોને અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બીમાર લોકો માટે આ રસ્તો અત્યંત ત્રાસદાયક બની રહ્યો હતો.
ત્યારે દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણીમાં આપેલા વચન પૂર્તતા કરી અંદાજે રૂ. 45 લાખના ખર્ચે રસ્તો મંજૂર કરાવી આજે આ રસ્તાના બાંધકામનું ખાતમુહર્ત કર્યું હતુ. જ્યારે આગામી થોડા સમયમાં જ વિસ્તારમાં રોઝવા પાસેના નવાપરા ગામનો રસ્તો પણ નવીનીકરણ કરવામાં આવ્યો તથા ટૂંક સમયમાં ફૂલકીથી મોટા ઉભડા, પાટડીથી બામણવા-કોચાડા, ખેરવા- નાગડકા, નાગડકા-સવલાના રસ્તાનું કામ પણ ચાલુ થઈ જશે. આમ દસાડા વિધાનસભા મત વિસ્તારના લગભગ તમામ રસ્તાઓના નવીનીકરણ થઈ જતાં જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આજે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, વિક્રમભાઇ રબારી સહિત પંચાયત માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ અને સુરજપુરા ગામના પટેલ સુભાષભાઈ, પટેલ રણછોડભાઈ, પટેલ કિરીટભાઈ, ઠાકોર અશ્વિનભાઈ, ઠાકોર બચુભાઈ સહિતના ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે સુરજપુરા ગ્રામજનોની વર્ષો જૂની માંગણી પુરી થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.