અમદાવાદઃ ગુજરાતમાં હાઇવેના રસ્તાઓ આખા ભારતમાં વખણાય છે. દેશવિદેશથી આવનારાઓ ગુજરાતના હાઇવેના વખાણ કરે છે. પ્રતિ કલાક 100 કિ.મી.ની ઝડપ તો ગુજરાતના હાઇવે પર સામાન્ય બની ગઈ છે. પણ હાઇવે છોડીને શહેરમાં પ્રવેશો તો ગુજરાતના હાઇવેથી વિપરીત સ્થિતિ જ જોવા મળે છે. પછી તે અમદાવાદ જેવું મોટું શહેર કેમ ન હોય. અમદાવાદ તો મેટ્રો શહેર ગણાય છે, પરંતુ તેના રસ્તાઓ જોઈને કોઈ ન કહી શકે કે અમદાવાદ મેટ્રો શહેર હશે.
અમદાવાદના બિસ્માર રસ્તાઓ નાગરિકોની હાલાકીનું કારણ બની ગયા છે. શહેરના પશ્ચિમ ઝોન અને તેના અમુક વિસ્તારને બાદ કરતાં અમદાવાદના રસ્તાઓ નાગરિકોની દયનીય સ્થિતિ દર્શાવે છે. તેની સાથે દર વર્ષે કેટલાય નાગરિકો આ પ્રકારના રસ્તાના લીધે મોતને ભેટે છે. આવો જ રસ્તો અમદાવાદમાં સરખેજથી નારોલને છે. તેની સ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અનેક લોકો મોતને ભેટ્યા છે.
આજે તેના લીધે સ્થિતિ એવી આવી છે કે ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર એઝાઝખાન પઠાણે આ બિસ્માર રસ્તાને લઈને અરજી કરી છે. આ અરજી જજ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી. અરજીમાં એઝાઝખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદમાં નારોલ સર્કલથી સરખેજ સર્કલ સુધીનો મુખ્ય રોડ અને સર્વિસ રોડ બંને ખરાબ સ્થિતિમાં છે. આ અંગે સત્તામંડળ સમક્ષ રજૂઆત કરવામાં આવતા કોઈ જવાબ આપ્યો નથી. આ રોડ પર ટ્રાફિક સિગ્નલ પણ યોગ્ય અવસ્થામાં નથી. ઝેબ્રા ક્રોસિંગ નથી. અમદાવાદ શહેરમાંથી પસાર થતો આ રસ્તો નેશનલ હાઇવે 974 દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને તેમજ ઉત્તર ગુજરાતને જોડે છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારોલથી સરખેજ સુધી અમદાવાદનો અને કદાચ દેશનો સૌથી મોટો ઓવરબ્રિજ બનાવવાનું ખાતમૂહુર્ત કર્યુ છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આટલો લાંબો બ્રિજ બનતા કમસેકમ પાંચ વર્ષ ચોક્કસ લાગશે અને તેમા પણ જો કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ તો તેમા વધુ સમય લંબાઈ શકે છે. આ બ્રિજ બનતા જેટલો સમય લાગશે તેટલો સમય સ્થાનિકોએ હાલની તકલીફ ઝેલવી ન પડે તથા બિસ્માર રસ્તાની સ્થિતિ સુધારવામાં આવે તે માટે અરજદારે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત
આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?
આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ ધરપકડ