IAS Dr. Vipin Garg: કોઈપણ સનદી અધિકારીનો પ્રેરણાસ્ત્રોત સામાન્ય રીતે યુપીએસસીમાં સારો ટોપર હોય કે મોટો વહીવટી અધિકારી હોય છે, પરંતુ IAS અધિકારી વિપિન ગર્ગ (IAS Dr. Vipin Garg )નો પ્રેરણા સ્ત્રોત રીક્ષાવાળો છે, રીક્ષાવાળાની પ્રામાણિકતા તેમના માટે પ્રેરણા સ્ત્રોત બનેલી છે. તેના કારણે તેઓ આજે પણ માને છે કે સારા કર્મોનું સારું ફળ ચોક્કસ મળે છે. વિપિન બાળપણમાં ટ્યુશન જવા નીકળ્યા હતા અને તેમની પાસેના 100 રૂપિયા રીક્ષામાં પડી ગયા હતા, પણ રીક્ષાવાળો તેમને આ રૂપિયા પરત આપી ગયો હતો. બસ રીક્ષાવાળાની આ પ્રામાણિકતા તેમના માટે જનસેવાનો પ્રેરણાસ્ત્રોત બની હતી.

IAS Dr. Vipin Garg- પ્રજાકીય સેવાની ભાવના
વહીવટી અધિકારી તરીકે તેમનું માનવું છે કે આજે આપણે જે છીએ તે એક સમાજ અને તેના દ્વારા મળેલા વાતાવરણના લીધે છીએ. હવે વહીવટી અધિકારી તરીકે તક મળી છે તો સમાજની સેવા કરીને તેને બને તેટલું શ્રેષ્ઠ આપવું. લોકોના પ્રશ્નો ઉકેલવા તે પ્રજાની સેવા જ છે. તેથી જ વહીવટી અધિકારી તરીકે અમને તો ખરેખર પ્રજાની સેવા કરવાની તક મળી છે. આજે પણ વિપિન ગર્ગ આ જ ભાવના સાથે ગુજરાત કેડરની વહીવટી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે.

IIT પાસ હોવા છતાં રૂપિયા પાછળ દોટ ન લગાવી
MBBSની સાથે IIT કરીને તેમણે પોતાની શૈક્ષણિક ક્ષમતા તો સાબિત કરી જ દીધી છે. તેઓએ ધાર્યુ હોત તો આઇઆઇટિયન્સ તરીકે લાખો રૂપિયાના પગારમાં આળોટી શક્યા હોત, કોઈ મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં મોટા પેકેજ સાથે ગોઠવાઈ જઈને આરામનું જીવન વીતાવી શક્યા હોત, પરંતુ અહીં જ તેમને રીક્ષાવાળાનો પદાર્થપાઠ યાદ આવ્યો, જેણે તેમને સમાજ પાસેથી મેળવેલું આ જીવન સેવાના સ્વરૂપમાં સમાજને પરત આપવાની ભાવનાથી યુપીએસસી તરફ વાળ્યા.

તેમણે વિચાર્યુ કે એક રીક્ષાવાળો જો કોઈની 100 રૂપિયાની નોટ પરત આપવાનું વિચારી શકતો હોય, તો હું તો આટલો સાક્ષર છું. મારી શૈક્ષણિક લાયકાતનો લાભ લોકોની તકલીફો દૂર કરવા અને તેમનું જીવનધોરણ સુધારવા કેમ ન આપી શકું. તેમની જેમ જ ઘણા બધા વહીવટી અધિકારીઓ આ જ ભાવના સાથે કામ કરતાં હોય છે, પરંતુ પછી સમય વીતતાની સાથે કામગીરી જ રહે છે, પરંતુ તેની પાછળની મૂળ ભાવના વિસરાઈ જાય છે. પણ વિપિન ગર્ગ આજે પણ આ જ ભાવના અને આ જ ધ્યેયને રાખીને કામ કરે છે.

ડિજિટલ ગવર્નન્સ પર ભાર
તેમણે આઇઆઇટીના અભ્યાસનો અનુભવ અહીં ડિજિટલ ગવર્નન્સ પાછળ લગાડ્યો છે. તેમણે રાજ્યમાં જ્યાં પણ કામ કર્યુ છે ત્યાં ડિજિટલ ગવર્નન્સ પર હંમેશા વધુ ભાર મૂક્યો છે. તેઓ માને છે કે ટેકનોલોજીના ઉપયોગ વગર ત્વરિત સેવાઓ પૂરી પાડવી શક્ય નથી. આટલા મોટા તંત્રમાં આ ટેકનોલોજી જ છે જે છેવાડાના માનવી સુધી સેવા પૂરી પાડવાનું શક્ય બનાવે છે. આનું ઉત્તમ ઉદાહરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) સ્કીમ છે.

આદિવાસી જિલ્લામાં ડિજિટલ ગવર્નન્સના અમલનો પડકાર
તેઓ ગ્રામ પંચાયતથી લઈને ટોચના સ્તર સુધી ડિજિટલ ગવર્નન્સ અપનાવવામાં આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં ગુજરાતમાં તેમને આદિવાસી મનાતા ડાંગ જિલ્લામાં ડિજિટલ ગવર્નન્સના અમલનો પડકાર મળ્યો છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ અહીં પણ ડિજિટલ ગવર્નન્સનો સફળતાપૂર્વક અમલ કરી શકશે.

24 કલાક વીજળી મળે તો ડિજિટલ કનેક્ટિવિટી કેમ નહીં
તે માને છે કે જો ગામડામાં 24 કલાક વીજળી પહોંચી શકતી હોય તો પછી ડિજિટલ કનેક્ટિવિટી કેમ ન મળે. તેમણે જ્યાં પણ કામ કર્યુ ત્યાં અનેક પ્રક્રિયાઓ ઓનલાઇન કરી દીધી છે, જેથી નાગરિકોએ નાની-નાની બાબત માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા ન પડે, તેથી જ સરકારી વિભાગમાં તે ઓનલાઇન મેનના ઉપનામથી પણ જાણીતા છે. તેમની જ્યાં પણ નિમણૂક થાય છે ત્યાં તે સૌથી પહેલું પ્રાધાન્ય સરકારી કચેરીને ડિજીટાઇઝ કરવા પર આપે છે. તેમનું માનવું છે કે ટેકનોલોજીથી વહીવટની ગુણવત્તા સુધરે છે, કામગીરીમાં પારદર્શકતા આવે છે અને લોકોનો સરકારી તંત્ર પર વિશ્વાસ વધે છે.

હોમ સ્ટે જેવી પોલિસી દ્વારા આદિવાસીની આવક વધારી
તેમણે ખેડૂતોની ખેતીને પરંપરાગત ખેતીને ટેકનોલોજી સાથે જોડી છે. આદિવાસી વિસ્તારોમાં હોમ સ્ટે જેવી પોલિસીને પ્રોત્સાહન આપી ઇકો ટુરિઝમ દ્વારા આદિવાસીઓની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આદિવાસી ઉત્પાદનો માટે આખા માર્કેટ શોધી આપ્યા છે અને તેમણે આ રીતે આદિવાસીઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

આ પણ વાંચો:IAS ઓફિસર ક્ષિપ્રા આગ્રેનું સૂત્રઃ લોકોના પ્રશ્નો ઉકેલવા જ નહીં, જીવનસ્તર ઊંચે લઈ જવું સાચી સફળતા
આ પણ વાંચો:જનસંવાદને જનઉકેલની ચાવી માને છે IAS ઓફિસર શાલિની દુહાન
આ પણ વાંચો:ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ

