ગુજરાત સરકારે કર્મચારીઓની 15 માંથી 14 માંગ પુર્ણ કર્યા બાદ વધુ એક મોટો નિર્ણય આંગણવાડી કર્મચારી બહેનો માટે લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી છે કે આંગણવાડી કર્મચારી બહેનોનું હાલનું વેતન 7800થી વધારી વેતન 10 હજાર કરાયું છે.આંગણવાડીઓની બહેનોના પગારમાં 2200નો વધારો કરવામાં આવ્યો છે .
આ નિર્ણયનાં પગલે માતાનું સ્વાસ્થ્ય તો જળવાશે જ પણ બાળકને પણ સુપોષણ મળશે.
રાજ્યસરકાર દ્વારા મહિલાઓનાં હિતમાં લેવાયેલા આ નિર્ણયને હું આવકારું છું અને આ નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો આભાર વ્યક્ત કરું છું.(2/2)
— C R Paatil (@CRPaatil) September 16, 2022
આ સાથે તેડાગરની બહેનોના વેતનમાં 1550નો વધારો કરાયો છે. 3950 વેતનથી વધારીને 5500 કરી દેવામાં આવ્યું છે. સાથે જ 1800 આંગણવાડી અપગ્રેડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 18.82 કરોડના સ્વખર્ચે આંગણવાડીઓ અપગ્રેડ કરશે. મંડળોએ પત્ર લખીને સરકારના નિર્ણયને વધાવ્યો છે. સરકારે ખુબ ઉદાર મનથી વેતન વધારાનો નિર્ણય કર્યો છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.22૦૦નો વધારો કરીને રૂ.10,૦૦૦ માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.3950 માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.155૦નો વધારો કરીને હવે રૂ.5500 ચૂકવવામાં આવશે. આ માટે રાજય સરકાર રૂ.230.52 કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને ૫૧,૨૨૯ આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ થશે.