મોહસીન દાલ, પંચમહાલ @મંતવ્ય ન્યૂઝ
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ સામેની લડતમાં હવે રસીકરણના અભિયાનને પૂર્ણ કરવાના આ લક્ષયાંકમાં માનવીય ભૂલો ઉડીને આંખે વળગે તેમ સામે આવી રહી છે. તંત્રના દબાણોના કાર્યભારમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી રસીકરણના છબરડાઓ થતા હોવાની ચર્ચાઓ પૈકી એક કિસ્સામાં ઘોઘંબા તાલુકાના પાધોરા આરોગ્ય કેન્દ્રમાં સામે આવી છે, કે જેમાંધનેશ્વર ગામના મણીબેન રસી મુકાવવા ગયા ત્યારે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મણીબેનને ગત તા.૮મી એપ્રિલના રોજ રસીનો પ્રથમ ડોઝ રસી લીધી હોવાનું સર્ટીફીકેટ આપતા ભારે આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો.
ધનેશ્વર ગામના આ ૫૨ વર્ષીય મહિલા મણીબેને રસી લીધી જ નથી તો આ સર્ટીફીકેટ આવ્યું ક્યાંથી ? આ સંદર્ભમાં મણીબેનના પુત્ર પ્રવિણભાઈએ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારીઆનો ટેલિફોનિક સંપર્ક કરતા ઘોઘંબા તાલુકાના અગ્રણીઓ પાધોરા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં દોડી ગયા હતા અને રસીકરણના લક્ષયાંકને પૂર્ણ કરવાની આ કામગીરીઓના ભારે છબરડાઓ હોવાના આક્ષેપો સાથે તપાસ હાથ ધરવાની માંગ કરી છે.
પાધોરા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં રસી અંગે સર્જાયેલા આ વિરોધાભાસી વાતાવરણમાં પ્રવિણભાઈએ જયારે તબીબને આ ઘટના સંદર્ભમાં ગંભીરતા પૂર્વક પૂછપરછ કરી હતી. જેના જવાબમાં તબીબ દ્વારા અમારા ઉપર કેટલું દબાણ છે આ બાબતમાં સરપંચને પૂછી લેજો આ જવાબો સાથે સમયગાળો પૂર્ણ થતાં રવાના થઈ ગયા હતા.
જો કે પાધોરા પ્રા. આરોગ્ય કેન્દ્ર સાથે આવી પહોંચેલા ઘોઘંબા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અર્જુનસિંહ બારીઆ અને જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ રાઠવાએ સંપૂર્ણ આદિવાસી એવા ઘોઘંબા તાલુકામાં કોરોના સંક્રમણના કહેર વચ્ચે હવે રસીકરણના લક્ષયાંકને પૂર્ણ કરવાના આ દબાણોના કાર્યભાર વચ્ચે બારોબાર રસી મૂકી દેવામાં આવી હોવાના કિસ્સાઓ સામે જિલ્લા સ્તરેથી ઉચ્ચસ્તરીય તપાસો હાથ ધરવામાં આવે એવી માંગ કરી છે.