Biparjoy Cyclone/ અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ બિપોરજોય વાવાઝોડાની પૂર્વ તકેદારીના ભાગરુપે કરી આ તૈયારીઓ

સંભવિત બિપોરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વમાં સાબદું કરાયું છે

Top Stories Gujarat
3 1 1 અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ બિપોરજોય વાવાઝોડાની પૂર્વ તકેદારીના ભાગરુપે કરી આ તૈયારીઓ

સંભવિત બિપોરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વમાં સાબદું કરાયું છે. વિવિધ વિભાગોને અગમચેતીના ભાગરુપે કામગીરી સોંપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.14-15 જુન દરમિયાન સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરના લીધે જિલ્લામાં આશરે 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જે પરિસ્થિતિને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરુપે વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે.

જિલ્લાના વિક્ટર અને જાફરાબાદ બંદર પર તા.13 જુન બપોરની સ્થિતિએ ૦૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે એક પણ નવું ટોકન આપવામાં આવ્યું નથી. જાનહાનિ અને માલને નુકશાન ન થાય તે માટે કાંઠા વિસ્તારમાં ઉચિત પગલાં ભરવામાં આવ્યા છે. રાજુલા-જાફરબાદ તાલુકાઓના 29 ગામોમાં જરુરિયાત મુજબ સલામત સ્થળે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કાચા અને ભયજનક મકાનોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સલામતીના ભાગરુપે જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આગામી તા.૧૪ અને તા.૧૫ જુનની રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આગામી સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવાનું આયોજન છે.

આગોતરું આયોજન

આ સાથે જ વન વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સંક્લનથી જિલ્લામાં ક્યાંય પણ રોડ-રસ્તા ઝાડ પડી જવાથી બંધ થાય તો તેને તુંરત જ પૂર્વરત કરવા માટે આગોતરું આયોજન કરાયું છે. જરુરી સલામત સ્થાનો પર અન્ન અને પાણી પુરવઠો પણ પહોંચી રહે તેની વ્યવ્સ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવા અને દવાઓનો જરુરી જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા નેસમાં રહેતા માલધારીઓના સ્થળાંતર માટે અને વન્ય પ્રાણીઓ માટે જિલ્લામાં વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. આ સાથે આંબરડી સફારી પાર્ક અને જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે સ્ટાફ સાથે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના ટાપુ શિયાળબેટના રહેવાસીઓ માટે સ્થાનિક સંપ મારફતે પીવાનું પાણી મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા છે. બોટની ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. બેટ પર મોબાઈલ ટાવર માટે જનરેટર સેટની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત સંપર્ક માટે વૉકીટોકી સેટની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

ગભરાવવાની જરુર નથી સૂચનાઓનું પાલન કરવું

અમરેલી જિલ્લામાં કલેકટરે નાગરિકોએ અપીલ કરી હતી કે ગભરાવવાની જરુર નથી. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. વૃક્ષની નીચે ન રહેવું, વીજળી પડવાની સંભાવનાઓને ધ્યાને લેતા ઘરની ભીની દીવાલો પાસે ન રહેવું કે ખુલ્લામાં કે ખેતરમાં જવાનું ટાળવું. અમરેલી જિલ્લામાં વાવાઝોડાના પગલે કોઈપણ પ્રકારની આપાત કાલીન પરિસ્થિતિનું સર્જન થાય તેવી સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કંટ્રોલરૂમ રુમના નંબર પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ નંબર પર સંપર્ક કરવો

અમરેલી ખાતેના જિલ્લા કંટ્રોલ રુમ–(02732) 230735, પોલીસ કંટ્રોલ રુમ અમરેલી (02792) 223498, નગરપાલિકા કંટ્રોલ રુમ અમરેલી (02792) 223592, ફાયર 101, અમરેલી તાલુકા કંટ્રોલ રુમ (02792) 223225, બાબરા તાલુકા કંટ્રોલ રુમ (02791) 233224, બગસરા તાલુકા કંટ્રોલ રુમ (0279૦6) 222194, ધારી તાલુકા કંટ્રોલ રુમ (02797) 225015, જાફરાબાદ તાલુકા કંટ્રોલ રુમ (02794) 225436, ખાંભા તાલુકા કંટ્રોલ રુમ (02797) 260528, લાઠી તાલુકા કંટ્રોલ રુમ (02793) 250542, લીલીયા તાલુકા કંટ્રોલ રુમ (02793) 236538, રાજુલા તાલુકા કંટ્રોલ રુમ (02794) 222013, સાવરકુંડલા તાલુકા કંટ્રોલ રુમ (02845) 224200, વડીયા તાલુકા કંટ્રોલ રુમ (02796) 273388.