પાટીદાર અનામત આંદોલનની સૌ પ્રથમ હિંસક તોફાનની ઘટના અંગે નોંધાયેલા કેસમાં વિસનગર કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને પાસના હાર્દિક પટેલ અને એ.કે પટેલ સહિત ત્રણ લોકોને રાયોટીંગ કેસમાં દોષિત માન્યા છે. લાલજી પટેલ, હાર્દિક પટેલ અને એ.કે પટેલ સહિત ત્રણ લોકોને બે-બે વર્ષની સજા કરવામાં આવી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જયારે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતાં.
હાર્દિક અને લાલજી પટેલના વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા દલીલ કરી. વિસનગર નગરપાલિકા પ્રમુખ ગોવિંદ પટેલને શંકાનો લાભ અપાયો. ત્યારે કોર્ટ ચુકાદો આપે તે પહેલા હાર્દિક પટેલે એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિકે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ત્યારે આ આરોપીઓને આજે જામીન મળશે..તેવી પણ સંભાવનાઓ સેવાઇ રહી છે.
આપને જણાવી દઈએ કે, વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાએ તોડફોડ કરી હતી.આ ઉપરાંત ભાજપના અગ્રણી નેતાની કારને પણ સળગાવી દીધી હતી. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.
જે અંગે ગુનો નોંધાયો હતો આ ગુનાના કેસમાં વિસનગર કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. પાટીદારો મોટી સંખ્યામાં વિસનગર કોર્ટ કંપાઉન્ડમાં ઉમટી પડ્યા હતાં. સમગ્ર વિસનગર શહેર સહિત જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગાઠવી દેવામાં આવ્યો છે..