@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
મહાનગરપાલિકાની આ ચૂંટણીઓમાં સૌથી ચૌકાવનારી જો કોઇ વાત હોય તો તે છે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી. જે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઇ વિકલ્પને લોકો પસંદ કરતા ન હતા તેની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલું સ્થાન ઘણી મોટી વાત કહી શકાય. રાજકીય પંડિતો માટે પણ આ નવી ગણતરી છે. કારણ કે આગળ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ એક મજબૂત ફેક્ટર કહી શકાય.
કહેવાય છે કે રાજકારણમાં કશું કાયમી નથી હોતું. તેમ આ વખતે જયાં માત્ર ભાજપ અને કોંગ્રેસ એમ બેજ પ્રમુખ પક્ષો હતા. તેમાં હવે હળવેકથી આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. જે કદાચ મતદારો માટે ત્રીજો વિકલ્પ બન્યો છે. આ પહેલાં પણ ત્રીજા વિકલ્પ તરીકે અનેક પક્ષો આવ્યા છે. પણ ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પગ જમાવ્યો છે. તેણે ઘણા રાજકીય પંડિતોને ગોથા ખવડાવી દીધા છે.
અમદાવાદ, વડોદરા અને સુરત સહીત આ વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી હતી. પણ સુરતમાં ૨૭ બેઠકોની જીત સાથે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. આ ચૂંટણીના પરિણામોએ એક સાંકેતિક ઈશારો જરૂર કર્યો છે. કારણ કે,અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સૂરતમાં સારૂ પ્રદર્શન કર્યું છે. સુરતમાં શરૂઆતના પરિણામો માંજ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પાછળ પાડી દીધી હતી. અને સીધી ટક્કર ભાજપ સામે જોવા મળી હતી. સુરતમાં કોંગ્રેસનો કાંટો કાઢીને આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે.
આમ આદમી પાર્ટીનું આ પ્રદર્શન એ માટે પણ મહત્વનું છે કારણ કે, ગુજરાતમાં આગામી વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી પાસે પોતાનો આધાર મજબુત બનાવવા માટે પુરતો સમય છે.
એવું નથી કે ગુજરાતમાં આ પહેલા લોકો સામે ત્રીજો વિકલ્પ આવ્યો નથી. શંકરસિહ વાઘેલાનું રાજપા હોય કે કેશુભાઇની પરિવર્તન પાર્ટી, લોકોએ આવા ત્રીજા વિકલ્પને નકારી દીધો હતો. પણ આ પરિણામોમાં જોવાઇ રહયુ છે કે કેજરીવાલને લોકોએ પસંદ કર્યા છે. ખાસ કરીને સુરતમાં આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 42 બેઠકો પર આગળ હતું. જ્યારે આમ આદમી પાર્ટી 16 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. સુરતમાં કોંગ્રેસ પણ શરૂઆતના ટ્રેન્ડમાં 6 બેઠકો પર આગળ હતી. અને મતગણતરી આગળ વધતી ગઈ એ પછી પણ 6 બેઠકો પર જ આગળ રહી હતી.
સુરતનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ અને આણ આદમી પાર્ટી વચ્ચે ભારે રસાકસી જોવા મળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. એક તબકકે સુરતમાં આમ આદમી પાર્ટીની જોરદાર ટક્કરથી ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ પણ થવા માંડ્યા હતા. પણ ભાજપે પછી સારો દેખાવ કરીને સત્તા કબજે કરવાની દિશામાં આગેકૂચ કરી છે.
જો કે સુરત હોય કે બીજું કોઇ મહાનગર આપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. લોકોએ કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીને સ્વિકારી છે તે વાત નકકી છે. ગુજરાતના રાજકારણમાં સામે આવેલા આ નવા પરિવર્તનમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ સુરતના પાટીદાર વિસ્તારોમાં 27 બેઠકો પર જીત મેળવી છે. અને બેઠક જીતીને સ્થાનિક રાજનીતિ પ્રવેશ કરે તેવી સંભાવના છે. તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચહેરો એવા ગોપાલ ઈટાલિયાને પ્રમુખ બનાવીને પોતાનું લક્ષ્ય સાંધી લીધું છે.
એટલું જ નહી સુરત સિવાય અન્ય મહાનગરપાલિકામાં અનેક સ્થળોએ આમ આદમીપાર્ટીના ઉમેદવારોએ અન્ય પાર્ટીના ઉમેદવારોને ટક્કર આપી છે. તેના પરથી એક બાબત તો સ્પષ્ટ થઈ રહી છે કે લોકો માટે ભાજપના વિકલ્પ તરીકે હવે આમ આદમી પાર્ટીને જોવે છે. તેમજ લોકો હવે કોંગ્રેસ પક્ષના બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપતા નજરે પડી રહ્યાં છે.
જો કે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચારના મુદ્દા સાથે લોકો સમક્ષ ગયા હતા. તેમણે રાજયમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારના મોડેલને પણ લોકો સમક્ષ મૂક્યું હતું. તેમજ આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચૂંટણી પૂર્વે પ્રવાસ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીની સુરતમાં જીત પાછળ જોવા જઈએ તો પાટીદાર મતદારોએ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તો જે મત હાર્દિક પટેલના લીધે કોંગ્રેસને મળવા જોઈતા હતા. તે મત ગોપાલ ઈટાલિયાને લીધે આમ આદમી પાટી તરફ ડાયવર્ટ થયેલા જોવા મળ્યા છે. કારણો અનેક છે અને દરેકના જવાબ પણ અલગ છે. પણ જે પ્રમાણે રાજકીય પંડિતો આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગણિત મુકી રહયા છે. તે પ્રમાણે ગુજરાતમાં હવે શક્ય છે કે ત્રીજો વિકલ્પ બનશે. ગુજરાતની આગામી ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીની આ જીત રસ્તો બનાવશે. જે આવનારા દિવસોમાં ભાજપ માટે પડકાર અને કોંગ્રેસ માટે રકાસનું કારણ બની શકે છે.