થોડાક સમય પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું વિધાન કરેલું કે, દેશમાં બહુમતી સમાજનું શાસન છે ત્યાં સુધી લોકશાહી અને બંધારણ સલામત છે. જે દિ અન્ય સમાજનું શાસન આવશે ત્યારે લોકશાહી બંધારણ સલામત નહિ રહે. આ અંગે તેમણે ઈસ્લામિક દેશોનાં દાખલા આપીને છેલ્લે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવ્યા બાદ શું થાય છે તેની વાત કરી હતી. નીતિન પટેલની વાત સાવ ખોટી તો નહોતી જ પણ સાથોસાથ તેમણે બ્રીટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈટાલી, ઈઝરાયલ સહિતનાં દેશોનો દાખલો કેમ ન આપ્યો તેનું ઘણાને આશ્ર્ચર્ય થયું હતું. નીતિન પટેલનાં આ નિવેદન અંગે ચર્ચાઓ ચાલુ જ છે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મુંબઈ ખાતે ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલીસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં રહેતા હિંદુઓ અને મુસ્લિમોનાં પૂર્વજો સમાન હતા. ભારતના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, હિંદુ કે મુસ્લિમનાં વર્ચસ્વનો નહિ પણ ભારતના વર્ચસ્વનો વિચાર કરવાની જરૂરત છે. રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્ર સર્વોપરી પરના સેમિનારમાં ભાગ લેતા તેમણે કહ્યું કે, હિંદુ શબ્દ આપણી માતૃભૂમિ પૂર્વજો અને સંસ્કૃતિનાં વારસા સમાન છે. હિંદુ શબ્દને ભારતીય તરીકે મૂલવવાની જ‚રત છે ભાગવતે ત્યાંથી આગળ વધીને એમ પણ કહ્યું કે, અંગ્રેજોએ હિંદુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા. અંગ્રેજોએ જ અલગ રાષ્ટ્રની માગણીનાં બીજ વાવ્યા હતા. અંગ્રેજોએ તે વખતે એવું કહેલું કે, ભારતમાં ઈસ્લામનો નાશ થયો છે? આવું થયું નથી મુસ્લિમો સર્વોચ્ચ હોદ્દા પર બેસી ચૂક્યા છે. આપણે સમાજ કે ધર્મથી પર જઈને રાષ્ટ્ર જ સર્વોપરી છે તેવું વિચારતા થઈશું ત્યારે ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકે નહિ.
સંઘનાં વડા ભાગવતજીની આ સ્પષ્ટ વાતો ઘણું બધું કહી જાય છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી છે અને રાષ્ટ્રને લગતા તેમના વિચારો સામે સંઘનું સંતાન ગણાતા ભાજપના આગેવાનોને પણ ઘણીવાર ગમતા નથી. ભારત વર્ષોથી એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મનાં લોકો એક્તાથી રહે છે. મોગલ બાદશાહ અકબરનાં દરબારમાં જે નવ રત્નો હતા તેમાં હિંદુ પણ હતા, અને મુસ્લિમ પણ હતા. અંગ્રેજો સામે પહેલો બળવો ૧૮૫૭માં થયો જેમાં હિંદુઓ અને મુસ્લિમો સાથે મળીને લડ્યા ભલે આ વિદ્રોહ સફળ ન થયો પણ અંગ્રેજોને આની જાળ તો ચોક્કસ લાગી ગઈ હતી. તેથી જ તેમણે ભારતના આ મુખ્ય બે સમાજોમાં ભાગલા પડાવવાનો ધંધો શરૂ કર્યો જેનાં પરિણામે પાકિસ્તાનનું સર્જન તો થયું જ પણ તેની સાથે લોકોનાં મનમાં પણ બે સમાજો સતત ઝઘડતા રહે તેવો વારસો મુકતા ગયા. આ વારસો હજુ પણ જળવાયો છે. ભારતનું બંધારણ કહે છે કે સૌને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. સર્વધર્મ સમભાવ અને વસૂધૈવ કુટુંબકમ એ ભારતીય સંસ્કૃતિનાં સૂત્રો છે જેનો કોઈ સંજોગોમાં ઈન્કાર થઈ શકે નહિ.
ભારતનાં વેદોમાં, શાસ્ત્રોમાં સર્વધર્મ સમભાવનો સંદેશો છે. સૌ પોતપોતાનો ધર્મ પાળે તેવો ભાગવત ગીતામાં પણ સંદેશ છે પરંતુ આ બધી વાતો અને અર્થઘટન આપણે સંતો પર છોડી દઈએ, પરંતુ શું સર્વોપરી છે તેની વાત આવે ત્યારે રાષ્ટ્ર સર્વોપરી છે તે વાત મહત્વની છે. દરેક ભારતીય રાષ્ટ્રને સર્વોપરી મને એક થશે તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહિ તેવું ભાગવતજીએ કહ્યું છે. બે સમાજ વાળી વાત કે પૂર્વજો એક હતા તેવી વાત ઘણાને નહિ ગમે પણ આરએસએસનાં વડાનાં આખા પ્રવચનમાંથી રાષ્ટ્ર જ સર્વોપરી છે એટલો સાર કાઢવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો ભારત મોદીજીનાં સ્વપ્ન મુજબ વિશ્ર્વગુરૂ જરૂર બની જશે.
ધર્મનાં નામે વાતો કરનારા અને સમાજમાં વિભાજન પડાવનારા અને ફલાણો આવશે તો આમ થશે અને ઢીંકણો આવશે તો તેમ થશે તેવું કહેનારા પરીબળો રાષ્ટ્રની સેવા નહિ કુ-સેવા કરી રહ્યાં છે. ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારેય બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાનાં પ્રયાસો એક યા બીજી રીતે રાજકારણીઓએ ચાલું રાખ્યા છે. ધર્મ, સમાજ કે જ્ઞાતિના નામે મત માગનારાઓએ ભૂલી જાય છે કે તેઓ કોઈ યુગપુરૂષના માર્ગે નહિ પણ ભાગલા પાડવાની અંગ્રેજોની નીતિને અનુસરી રહ્યા છે.
રાજકારણીઓ બાબતમાં તો અનેક સ્થળે વારંવાર લખાઈ ગયું છે કે, વર્તમાન રાજકારણીઓ રાષ્ટ્ર કરતાં પક્ષને મહાન ગણે છે અને કેટલાંક પક્ષો કે જેમાં શાસક વિપક્ષ બધા આવી જાય છે તેઓ પક્ષ કરતાં વ્યક્તિને મહાન ગણવામાં આવે છે કોઈ એક વ્યક્તિને પાડી દેવાની વાત કરે છે તો બીજા એક વ્યક્તિને ટકાવવાની કે ત્રીજો કોઈ ત્રીજી વ્યક્તિને આગળ લાવવાની વાત કરે છે તેમાં એક કે બે વ્યક્તિ કે પક્ષ મજબૂત બને છે પણ રાષ્ટ્ર મજબૂત બનતો નથી. એક વ્યક્તિ થકી રાષ્ટ્ર છે તેવી વાતો કરનારા ભૂતકાળમાં પણ મુર્ખ શીરોમણી હતા તેનો સીધો સાદો દાખલો આપીએ તો ૧૯૭૫ની કટોકટી વાળા કાળમાં દેવકાંત બ‚આ નામના એક ભેજા વગરનાં માણસે ઈંદિરા ઈઝ ઈન્ડિયાનો નારો આપ્યો હતો. જ્યારે અત્યારે કેટલાંક તત્વો મોદી ઈઝ ઈન્ડિયા કે ભાજપ ઈઝ ઈન્ડિયા એવી વાતો કહીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યા છે. ૧૯૭૫ના સમયગાળાના મૂર્ખ શીરોમણી જો ઈંદિરાજી એજ ભારત છે તેના બદલે ઈંદિરાજી ભારતના છે તેવો શબ્દ બોલ્યા હોત તો કેવું સારૂ લાગત. અત્યારના કેટલાક લોકો મોદીજી ભારતના છે અને ભાજપ ભારતનું છે તેવી વાત કહે તો વધુ સારી લાગે. પરંતુ ખુશામતખોરો રાષ્ટ્ર કરતાં પક્ષ અને વ્યક્તિને મહાન ગણતા હોય છે.
કોઈપણ હોય પણ દરેક લોકોએ પહેલા રાષ્ટ્ર પછી ધર્મ પછી જ્ઞાતિ અને પછી નૂખ (અટક) એ પ્રકારનો સિદ્ધાંત અપનાવે અને રાજકારણીઓને પણ આવું જ વલણ અપનાવવા ફરજ પાડે તે જ‚રી છે. અત્યારે ભારતને આગળ વધવું હશે તો ‘રાષ્ટ્ર સર્વોપરી’નો સિદ્ધાંત વાસ્તવિક રીતે અમલી બનાવવો પડશે.
ગણેશોત્સવ / લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો