રથયાત્રા પુર્વે અમદાવાદ શહેરની સુરક્ષા સજ્જ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અસામાજિક તત્વોએ પોતાની દાદાગીરી દેખાડવાનું બંધ કર્યું નથી. આજે શહેરમાં બે એવા બનાવો બન્યા હતા જેમાં લુખ્ખાતત્વોએ બેફામ આતંક મચાવીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉત્પન્ન કર્યો હતો. જેમાં સૌથી પહેલી ઘટનામાં શાહઆલમના મિલ્લત નગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જૂની અદાવત લઇ અસામાજિક તત્વોએ તલવાર ,દંડા સહીત હથિયાર લઇ આતંક મચાવ્યો હતો.
ઘાતકી હથિયારો લઇને જતા લોકોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દરવર્ષે રથયાત્રાના પગલે શહેર પોલીસ સતર્ક થઈ જતી હોય છે. શહેરની સુરક્ષા મજબૂત કરવામાં આવતી હોય છે. ત્યારે જૂની અદાવતમાં બન્ને પક્ષો વચ્ચે મારામારી થતા પોલીસના ધાડેધાડા આ વિસ્તારમાં ઊતરી ગયા હતા.
આ મામલે ઇસનપુર પોલીસે સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસનો ડર નાં હોય તેમ ખુલ્લેઆમ આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો. શહેરમાં અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. ખુલ્લેઆમ ઘાતકી હથિયારોને લઈને ફરતા આ તત્વો જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેવા દ્રશ્યોનું સર્જન થયું હતું.
જયારે બીજી ઘટનામાં રખિયાલ વિસ્તારમાં ગુંડાઓ બેખોફ બાઇક પર સવાર થઇ તલવાર વડે એક વ્યક્તિ પર હુમલો કરી દેતા ભયનો માહોલ સર્જાયો હતો. રખિયાલ નાગરવેલ હનુમાન પાસેના કેવલ કાંટા વિસ્તારમાં અસામાજીક તત્વોએ તલવાર સહીતના હથીયારથી એક વ્યક્તિ ઉપર હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે, ત્રણ અસામાજીક તત્વો સામે ગુનો નોંધીને તેમને ઝડપા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
રખિયાલ ભારત મિલની પાછળ ગોવિંદ પટેલના બંગલામાં રહેતા રોહિત શુક્લાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજના પાંચ વાગે પોતાનું કામ પૂર્ણ કરી પરત ધર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન કમલ રેસ્ટોરન્ટની બાજુમાં પાછળથી બાઇક પર સવાર ત્રણ બદમાશો એકદમ નજીક આવી હાથમાં રાખેલ તલવાર વડે હુમલો કરી દીધો હતો.
રોહિત શુક્લાને હાથના કાંડાના ભાગે તલવારનો ઘા વાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ બાઇક પર ભાગી ગયા હતા. જો કે ફરિયાદી રોહિત શુક્લાએ બાઇક પર સવાર બે લોકોને ઓળખી કાઢ્યા હતા. જ્યારે અન્ય એક અજાણ હતો. જેમાં બાઇક ચાલક બાપુનગર ખાતે રહેતો જોયેબ પઠાણ અને વચ્ચે બેઠેલ પંકજ હતો. આ મામલે રખિયાલ પોલીસે પંકજ, જોયેબ પઠાણ તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.