Gandhinagar News : ગાંધીનગરમાં પ્રેમ પ્રકરણને લઈને યુવકની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં કોર્ટે બે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ગાંધીનગરના સેક્ટર-11માં બીરસા મુંડા ભવન પાસે આ બનાવ બન્યો હતો. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.આઈ. ભટ્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
26 સપ્ટેમ્બર 2022ના રોજ 39 વર્ષીય કિરણ હીરાજી ઠાકોરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે હત્યારાઓએ પલ્સર બાઈક પર આવી કિરણનો પીછો કર્યો હતો. તેઓએ મોકો મળતાં પાછળથી ગોળીબાર કરી નાસી ગયા હતા. કિરણને પીઠના ભાગે ગોળી વાગતાં તેનું મૃત્યુ થયું હતું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકની પત્ની પ્રેમીલાનો ગોઝારીયાના જીતેન્દ્ર કિરીટભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ હતો. જીતેન્દ્રે પોતાના ફેબ્રિકેશનના ધંધામાં કામ કરતા જૈમીન ભરતભાઈ રાવળ સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.કિરણ સચિવાલય બ્લોક નંબર-2 ગૃહ વિભાગમાં રોજમદાર પટાવાળા તરીકે કામ કરતો હતો.
તેને બે પુત્રો છે – કુણાલ (15 વર્ષ) અને પરાગ (12 વર્ષ). હત્યારાઓ ભાગતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમની પિસ્તોલ પડી ગઈ હતી, જે પોલીસે કબજે લીધી હતી.સરકારી વકીલ જીગ્નેશ જોશીએ કોર્ટમાં બંને આરોપીઓ માટે કડક સજાની માગણી કરી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી જજ એચ આઈ ભટ્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ 25 હજારનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
