સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ
સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ દ્વારા 14 વર્ષના કિશોરની લાશને બહાર કઢાઇ
સુરેન્દ્રનગરમાં મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે કિશોરો ડુબતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં એક કિશોર સમયસૂચકતા વાપરીને નીકળી ગયો હતો. જ્યારે 14 વર્ષના અન્ય કિશોરનું ખાડના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતુ. સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ દ્વારા કિશોરની લાશને બહાર કઢાઇ હતી.
કેનાલ, ડેમ અને તળાવમાં નહાવા પડેલા યુવાનોના ડુબી જવાથી મોત નિપજવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે કિશોરો ડુબતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં એક કિશોર સમયસૂચકતા વાપરીને નીકળી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગર વેલનાથ સોસાયટીમાં રહેતો 14 વર્ષનો વિશેષ મહેશભાઈ ચાવડાનું ડેમ રોડ ઉપર આવેલા હમ પરવાળા મેલડી માતાના મંદિર પાછળ ખાડના ઉંડા પાણીમાં ડુબી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
આ ઘટના અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા સહિત રાહુલ ડોડીયા, ચિરાગ જોષી અને વિજયસિંહ સહિતના તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ 15 જ મીનીટમાં કિશોરની લાશને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમે પણ ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસના બીટ જમાદાર ચલાવી રહ્યાં છે.