લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે નાં મરે. અને અહીં આ કહેવત બિલકુલ બંધ બેસે છે. ભેજાબાજ અંશ તિવારીએ રિલાયન્સ જીઓ જેવી ખ્યાતનામ કંપનીમાં નોકરીઓ આપવાની લાલચોમાં બેરોજગારોને મોટા પાયે ચૂનો લગાવ્યો છે. પણ કહેવાય છે ને પાપનો ઘડો એક દિવસ ફૂટે છે તેમ, અંશના પાપનો ઘડો પણ ભરાઈ ગયો અને ગોધરા એસ.ઓ.જીએ યુ.પી.ના ભેજાબાજ અંશ તિવારીને પત્રિકાઓ સાથે દબોચી લઈને બેરોજગાર યુવાનો પાસેથી નાણાં ખંખેરવાના કૌભાંડનો પ્રારંભ પૂર્વે જ પર્દાફાશ કર્યો છે.
● આ ભેજાબાજ અંશ તિવારી સામે ઓનલાઈન નાણાં પડાવવા માટે દાહોદ જિલ્લામાં ગુન્હો પણ દાખલ થયો છે.
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મજબૂરીઓમાં રોજગારીઓ આપવાના લોભામણા વચનો જાહેરમાં પ્રસિધ્ધ કર્યા બાદ રોજગાર વાંચ્છુકો પાસેથી નાણાં ખંખેરવાના ચોંકાવનારા આ કૌભાંડમાં શિક્ષિત બેરોજગારો સાથે છેતરપીંડીઓ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ બહાર આવી રહયા છે. કયાંક આજ પ્રકારની શિક્ષિત બેરોજગારોને ઉંચા વેતનદરો સાથે રિલાયન્સ જીઓ 4-G ટાવર કંપનીમાં રોજગારી આપવાના બહાને ગોધરાના જાહેર સ્થળો અને સમાચાર માધ્યમ દ્વારા પત્રિકાઓ ફરતી કર્યા બાદ બેરોજગારોને રોજગારીઓ આપવાની આશાઓ સાથે ઓનલાઈન છેતરપીંડીઓના ખેલો શરૂ થાય આ પૂર્વે જ ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ. એમ.પી.પંડયાએ ઉત્તર પ્રદેશના એક ભેજાબાજને પત્રિકાઓ સાથે ઝડપી પાડીને ઓનલાઈન છેતરપીંડીઓ કરવાના આ કૌભાંડનો આરંભ થાય આ પૂર્વે જ ભેજાબાજના પ્રયાસોનો પર્દાફાશ કર્યો હતો.
પંચમહાલ અને દાહોદ જિલ્લા સમેત અન્ય કાર્યક્ષેત્રોમાં જરૂરીયાત મંદ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવાની લોભ લાલચોમાં ઓન લાઈન નાણાં પોતાના બેન્ક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવવાના ભેજાબાજોના ઓનલાઈન ફ્રોડ સામે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા સતર્ક રહીને તપાસો હાથ ધરવાના આપેલા આદેશો વચ્ચે ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.પી.પંડયાની સતર્ક નજરોમાં એક એવી પત્રિકા હાથમાં આવી ગઈ હતી કે રિલાયન્સ જીઓ 4-G ટાવર કંપની માં ૬૫૦૦ જેટલા શૈક્ષણિક લાયકાત ધરાવનારા યુવાન યુવતીઓને નોકરી આપવાની છે.આ શૈક્ષણિક લાયકાતો સાથે ઉંચા વેતનદરો દેખાડતી આ પત્રિકામાં આપવામાં આવેલ મોબાઈલ નંબર ૮૪૦૦૩૨૯૪૬૮ ઉપર વોટ્સએપના માધ્યમથી કોલ કરવાની આ સુચના ઓમાં બેરોજગારો સાથે છેતરપીંડી ઓ કરવાના આ ષડયંત્રમાં ભેજાબાજો સફળ થાય આ પૂર્વે જ ગોધરા એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.પી.પંડયાએ પત્રિકામાં આપવામાં આવેલ મોબાઈલ ફોન નંબરના લોકેશનના આધારે લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર સ્થળોએ પત્રિકાઓ ચોંટાડવાની હરકત કરનારા આ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના પીપરગવા ગામના ભેજાબાજ અંશકુમાર રાકેશ તિવારીને ૩૫૦૦ જેટલી પત્રિકાઓ જથ્થા સાથે આબાદ ઝડપી પાડ્યો હતો.
રિલાયન્સ જીઓ જેવી ખ્યાતનામ ટેલિકોમ કંપનીમાં ઉંચા વેતનદરોના આધારે નોકરીઓ આપવાની લાલચોમાં બેરોજગારોની મજબૂરીઓ સામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરીને સમગ્ર કૌભાંડને અંજામ આપતા પૂર્વે ગોધરા એસ.ઓ.જી.શાખાના સંકજામાં આવી ગયેલા ઉત્તર પ્રદેશના આ અંશકુમાર રાકેશ તિવારીએ દાહોદ શહેર તથા સંજેલીના ૭ જેટલા યુવાનો સાથે ફોન દ્વારા અને વોટ્સએપ મેસેજથી વાત કરીને પોતાના પે.ટી.એમ. તથા ફોન-પે એકાઉન્ટમાં નોકરી આપવાના બહાને નાણાં જમા કરાવ્યા હતા એ છેતરપીંડીના મામલામાં દાહોદ જિલ્લામાં ગુન્હો પણ નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું.