કોરોનાની અણધારી આફત કોઈપણ વર્ગ કે ઉંમરને અસર કરે છે. પરંતુ કેટલાક પરિવારો માટે તો કોરોના જાણે કાળ બનીને આવ્યો છે.કોરોનાકાળમાં ઘણા પરિવારોના આધારસ્તંભ કે મોભીઓના અવસાન થયા છે, તેવા પરિવારોના બાળકો માટે આગામી વર્ષના શિક્ષણનું ભાવિ ધૂંધળું છે, ત્યારે રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ (RIS) દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે, જે સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણાત્મક પહેલ રૂપ છે.
આ અંગે RIS દ્વારા ઉમ્મીદ’ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓના માતા કે પિતા કોરોનામાં અવસાન પામ્યા હોય તેમને આગામી વર્ષ 2021-22 માટે આખું વર્ષ નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, અમે એ દુ:ખ સમજી શકીએ છીએ, જે બાળકે માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય. તેમના માટે તેમનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું થઈ જાય છે.
આવા સમયે અમે આવા બાળકોમાં ઉમ્મીદ કે આશા જન્માવવાના આશય સાથે ઉમ્મીદ કાર્યક્રમ અંતર્ગત આગામી એક વર્ષ આવા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપી સામાજિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો છે. ઉમ્મીદ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે ફોન નંબર 9099094343 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.