રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-I લાઈટ હાઉસ પ્રોજેક્ટને નાગરિકો તરફથી અભૂતપૂર્વ આવકાર પ્રાપ્ત થયેલ છે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનનારા 1144 આવાસો માટે આજે તા. 7-1-2021થી રાજકોટ મહાનગરપાલિકાના છ (6) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી લોકોને ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. આજે રોજથી ફોર્મ વિતરણ શરૂ થતા પ્રથમ દિવસે સાંજ સુધીમાં જ 4500થી વધારે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકો વિગત ભરેલા ફોર્મ તા. 22-1-2021 સુધીમાં પરત કરી શકશે. વિશેષમાં આજે જોવા મળેલો લોકોના ધસારાને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પાસે પુરતી સંખ્યામાં આવાસના ફોર્મ ઉપલબ્ધ છે માટે લોકો વર્તમાન કોરોના કાળને ધ્યાનમાં રાખી ખોટો ધસારો ના કરે તે સૌના હિતમાં છે. સિટી સિવિક સેન્ટર કે બેંક ખાતે ફોર્મ લેવા કે પરત કરવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થામાં શિસ્તબદ્ધરીતે પોતાનું યોગદાન આપી નાગરિક ધર્મ પણ નિભાવે તે હાલના સંજોગોમાં અત્યંત આવશ્યક છે.
વિશેષમાં આ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં બનનાર આવાસમાં ફર્નિચરની પણ સુવિધા આપવામાં આવનાર હોવા અંગે લોકોમાં જે વાતો થઇ રહી છે તે અંગે સૌ નાગરિકોને એ ખાસ જણાવવાનું કે, આ આવાસમાં લાભાર્થીને ન્યુનતમ માત્રામાં ફર્નિચરની સુવિધા અપાશે. જેમાં રસોડામાં પ્લેટફોર્મની નીચે કબાટ બનાવી દેવામાં આવશે તેમજ એક રૂમમાં એક કબાટ પણ તૈયાર કરી દેવામાં આવનાર છે. સાથોસાથ લાઈટ અને પંખાની સુવિધા પણ આપવામાં આવશે.
તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા લોકો (EWS-2) લોકો માટે કુલ 1144આવાસ માટે જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે. આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ.100/- રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે. આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત 40.00 ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…