ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાં 41 શ્રમિકો ફસાયા છે. સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા મશીનથી લઈને મેન્યુઅલ વર્ક સુધીના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આજે 17 દિવસના અંતે ટનલમાં ફસાયેલા શ્રમિકો બહાર આવી રહ્યા છે. શ્રમિકો બહાર આવતા જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે. 12 નવેમ્બરના રોજ કામદારો દુર્ઘટનાનો શિકાર થયા અને સુરંગમાં ફસાયા. શ્રમિકોને બહાર કાઢવા ડ્રિલિંગ પદ્ધતિ, ઓગર મશીન તેમજ અંતે રેટ-હોલ માઈનીંગ પદ્ધતિનો ઉપયોગ કરતા રેટ માઈનર્સની મદદથી લેવામાં આવી.
રેટ હોલ માઇનિંગ: રેટ-હોલ માઇનિંગ પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કેમકે તે વધુ જોખમી છે. આ પદ્ધતિમાં કેટલાક ખાણિયા કોલસા કાઢવા માટે ઉંદરની જેમ દર ખોદી સાંકડા છિદ્રોમાં જાય છે. આ સાંકડા છિદ્રોમાંથી ખાણિયાઓ વાંસના દોરડાઓની મદદથી નીચે ઉતરે છે પછી કોદાળી, પાવડો અને ટોપલીનો ઉપયોગ કરી ખાણમાંથી કોલસા બહાર કાઢે છે.
રેટ-હોલ માઈનીંગ પદ્ધતિ વધુ જોખમી છે. કેમકે આ રીતે કરવામાં આવતું ખોદકામ વધુ સલામત નથી. જે લોકો આ ખોદકામ કરે છે તે સુરક્ષાની ચિંતા ના કરતા ખાડામાં ઉતરે છે અને અનેક વખત અકસ્માતનો ભોગ બને છે. ખાસ કરીને ચોમાસામાં આ પ્રકારના ખોદકામના કારણે તે વિસ્તારમાં પાણી ભરાઈ જતા મોટાપાયે ખાણિયાઓના જીવ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ રેટ-હોલ માઈનીંગ પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ રેટ-હોલ માઈનીંગ પદ્ધતિનો નિર્દોષ શ્રમિકોને બચાવવા ઉપોયગ કરવામાં આવ્યો છે. સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા ટનલની અંદર ઉંદર ખાણ પદ્ધતિ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે ઉંદર ખાણકામ કરનારાઓ (રેટ માઇનર્સ)ની છ સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ બચાવકાર્યમાં એક માણસ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું, જ્યારે બીજોા માણસે કાટમાળ ભેગો કર્યો અને ત્રીજી વ્યક્તિએ કાટમાળને બહાર કાઢી ટ્રોલી પર મૂકયો. આ રીતે 800 mm પાઇપની અંદરથી રેટમાઈનર્સે કાટમાળ દૂર કર્યો. આ કામગીરીમાં એક પાવડો અને અન્ય ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ પ્રકારનું ડ્રિલિંગ ખૂબ જ કપરું કામ છે જો કે, આ ખાણિયાઓ આવા કાર્યો માટે કુશળ છે. બચાવ કામગીરી દરમ્યાન શ્રમિકોને ઓક્સિજન મળી રહે માટે બ્લોઅર પણ લગાવવામાં આવ્યું હતું.
બચાવકાર્ય મિશનને મળી સફળતા
12 નવેમ્બર, 2023 ના રોજ સવારે 05.30 વાગ્યે, સિલ્ક્યારા અને બરકોટની વચ્ચે નિર્માણાધીન સુરંગમાં 41 કામદારો રિપ્રોફાઈલિંગનું કામ કરી રહ્યા હતા. સિલ્ક્યારા પોર્ટલથી 205 મીટરથી 260 મીટરના અંતરે માટી ધસી પડતા ટનલમાં કામ કરતા 41 કામદારો અંદર ફસાઈ ગયા. ઘટનાની જાણ થતા તાત્કાલિક પગલા લેતા ફસાયેલા કામદારોને બચાવવા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું. શ્રમિકોને ઓક્સિજન, પાણી, વીજળી, પેક્ડ ફૂડ પૂરું પાડતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 16 દિવસની અંદર બચાવ કામગીરીમાં અનેક પગલા લેવામાં આવ્યા. અંતે આજે મંગળવારના રોજ રેટ-હોલ માઈનીંગ પદ્ધતિની મદદથી શ્રમિક બચાવ મિશનને સફળતા મળી.