વડોદરા,
વડોદરામાં સાયકલ સ્ટોર ચલાવી ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળીની સળીઓની મદદથી સાડા છ ફૂટ લંબાઇની સરદાર પટેલની પ્રતિમા બનાવી છે.કેવડિયા ખાતે બનેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં ભવ્ય લોકાર્પણ અવસરને વધુ યાદગાર બનાવવાનો આ દ્વારા પ્રયાસ કર્યો છે.
આગામી 31 ઓક્ટોબરનાં રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવા જઇ રહ્યા છે ત્યારે વડોદરાનાં આ યુવકે દિવાસળી વડે સરદારની પ્રતિમા બનાવી એકતાનો સંદેશ આપ્યો છે.
વડોદરાનાં આજવા રોડ પર આવેલા એકતાનગર ખાતે રહેતા અને સાયકલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હુસેન પઠાણ નામનાં યુવકે સરદાર પટેલ ને અનોખી રીતે જન્મદિવસની ભાવાંજલી આપી છે.
હુસેને મે 2018માં સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને એ પ્રતિમા બનાવવા માટે હુસેને 4265 જેટલા દિવાસળીનાં બોક્સ ખરીદયા હતા. આ ઉપરાંત હુસેને સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે સાત કિલો ફેવિકોલ અને 24 ફેવિકવિકનો ઉપયોગ કર્યો છે.
હુસેનને સરદાર સાહેબની પ્રતિમા બનાવવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો હતો. ભારતના તમામ નાગરિકોને એકતાનો સંદેશ પહોંચાડવા માટે હુસેને સરદાર સાહેબની પ્રતિમા બનાવી છે. આવનારી 31 ઓક્ટોમ્બરનાં રોજ સરદાર પટેલ જયંતિએ તેમની વિશ્વની સૌથી મોટા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશનાં વડાપ્રધાન કરવા જઇ રહ્યા છે ત્યારે વડોદરાનાં આ યુવા કલાકારે સરદાર સાહેબ ની દીવાસળીની મદદથી બનાવેલ પ્રતિમાને કેવડિયા ખાતે મ્યુઝિયમમાં મુકાય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.