વડોદરાઃ પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે આવેલા એક ફાર્મહાઉસના માલિકનું તેમની જ કારમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ અપહરણ કરતાં પંથકમાં ચકચાર મચી છે. અપહરણ થયાની ફરિયાદ ભોગ બનનારના પુત્રએ પાદરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.. ફાર્મહાઉસના માલિકને અપહરણકારોની ચુંગાલમાંથી બચાવવા પોલીસ શોધખોળ ચલાવી રહી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિક ચતુરભાઈ દૂધાત જેઓ 59 મનીષા સોસાયટી, જૂના પાદરા રોડ વડોદરા ખાતે રહે છે. ખેતી કામ પણ કરતા હોવાથી તેઓ નિયમિત ફાર્મહાઉસ ઉપર જતા હોય છે. ગત રાત્રિના સમયે તેઓ પોતાના ફાર્મહાઉસ ઉપર હતા. દરમિયાન મોડી રાત્રિના સમયે અંદાજે 15 જેટલા શખ્સો એક કાર અને 5 બાઈક લઈને ધસી આવ્યા હતા. ફાર્મહાઉસ ઉપર રહેલા અન્ય શ્રમિકોને માર મારી ભગાડી દીધા હતા. બાદમાં અપરહણકારો ચતુરભાઈને બંદુકની અણીએ બંધક બનાવી તેની જ કારમાં કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ તેમના પુત્ર નિલેષભાઈ દૂધાતે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરાઈ છે. જોકે હજી સુધી અપહરણકારોએ તેમના પરિવાર પાસે પણ કોઈ માંગણી કરી ન હોવાથી તેમને ક્યાં લઈ ગયા છે તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.ફાર્મ હાઉસ પર FSL ની ટિમ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા બેઝઃબૌલ સ્ટીક, હથોડી , છીણી સહીત નાં હથિયારો મેળવી તપાસ હાથ ધરી છે.