વડોદરાના ફેથ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારીને ૨૩મી એપ્રિલના રોજ તમામ મતદાન મથકોને તમ્બાકુ મુક્ત જાહેર કરવાની સાથોસાથ તમ્બાકુની આડઅસર વિશે જાગૃતિ લાવવા બેનર પોસ્ટર પણ લગાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે વિશ્વમાં તમ્બાકુ કે વ્યસનના કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઊંચું છે. જેમાં ૧૨ ટકા મૃત્યુ ભારતમાં થાય છે.
એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકોના મોત વ્યસનના કારણે થાય છે. જેમાં ૭૦ ટકા પુખ્ત પુરુષો જયારે બાળકો અને મહિલાઓનો આંક ૧૩ થી ૧૫ ટકા જેટલો છે. મતદાન દિવસ એવો હોય છે જયારે મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. તેથી આ દિવસે તમામ મતદાન મથકોને તમ્બાકુ મુક્ત જાહેર કરવામાં આવે તેમજ ત્યાં તમ્બાકુ અને આડ અસર વિશે માહિતી આપતા બેનર લગાડવામાં આવે તો તેનાથી લોકોમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ આવશે.