વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવા વારાણસી પહોંચ્યા હતા. સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ તેને સપોર્ટ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. આ અવસર પર સચિન તેંડુલકરે પીએમ મોદીને એક ખાસ જર્સી પણ ભેટમાં આપી, જેના પર નમો લખેલું હતું. આ નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો છે અને રિપોર્ટ્સનું માનીએ તો તેના પર લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને તેને પૂર્ણ થવામાં 30 મહિનાનો સમય લાગી શકે છે.
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવા વારાણસી પહોંચેલા નરેન્દ્ર મોદીને સચિન તેંડુલકરે ખાસ જર્સી ભેટમાં આપી હતી. આ જર્સી પર નમો લખેલું હતું. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જ્યારે સચિને પીએમને જર્સી ગિફ્ટ કરી ત્યારે સ્ટેજ પર સીએમ યોગી, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, રોજર બિન્ની સહિત ઘણા પૂર્વ ક્રિકેટર્સ પણ હાજર હતા. આ પહેલા પણ સચિને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને 10 નંબરની જર્સી ભેટમાં આપી હતી.
સ્ટેડિયમમાં શું છે ખાસ?
આ સ્ટેડિયમ ખાસ બનવા જઈ રહ્યું છે. ભગવાન શિવને તેની થીમ તરીકે રાખીને તેને બનાવવામાં આવી રહ્યું છે. ફ્લડ લાઇટ ત્રિશૂળના આકારમાં હશે. આ સિવાય સ્ટેડિયમની છત અર્ધ ચંદ્રના આકારની હશે. એક તરફ ડમરૂનો આકાર પણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટેડિયમમાં કાશીની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. સરકાર તેને બનાવવા માટે અંદાજે 500 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે અને તેને તૈયાર થવામાં 2 વર્ષથી વધુ સમય લાગી શકે છે.