New Delhi: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, ઉનાળાના વેકેશન પછી નિયમિત કામકાજ શરૂ થયા બાદ જો આ કેસની સુનાવણી કરવામાં આવે, તો કોઈ આકાશ તૂટી પડવાનું નથી. હવે આ મામલે વેકેશન પછી જ નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવશે.
દાખલ કરવામાં આવેલ PIL અંગે શું કહ્યું સુપ્રિમ કોર્ટે (Supreme Court)?
બે વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે: રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાનની ચોરીની તપાસ CBI અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ કરાવવામાં આવે. અરજદારોએ દલીલ કરી હતી કે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા હાલમાં જે તપાસ થઈ રહી છે તેના પર ભરોસો રાખી શકાય તેમ નથી, કારણ કે મહત્વપૂર્ણ પુરાવાઓ યોગ્ય રીતે સાચવવામાં આવી રહ્યા નથી.
જુલાઈ મહિનામાં થશે આગામી સુનાવણી
ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગુની ખંડપીઠે આ કેસની તાત્કાલિક સુનાવણીની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ અરજી પર હવે 12 થી 17 જુલાઈ દરમિયાન સુનાવણી હાથ ધરવામાં આવશે.
UP પોલીસની તપાસ તેજ
આ કાનૂની વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય (Champat Rai)નું નિવેદન પહેલેથી જ નોંધી લેવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જરૂર પડશે તો ટ્રસ્ટી અનિલ મિશ્રા સહિત ટ્રસ્ટના અન્ય વરિષ્ઠ અધિકારીઓની પણ પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધવામાં આવી શકે છે.
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા
રામ મંદિર ટ્રસ્ટ (Ram Mandir Trust)પર લાગેલા આ ગંભીર આરોપો બાદ ભારે ખળભળાટ મચ્યો છે. ટ્રસ્ટે આ સમગ્ર ઘટનાક્રમ પર ઊંડી નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે. નિષ્પક્ષ તપાસ પ્રક્રિયાને વેગ આપવા માટે ટ્રસ્ટે ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે.
રામ ભક્તોને ટ્રસ્ટની ખાતરી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશ-વિદેશના કરોડો રામ ભક્તોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, ભગવાન રામલલાના ચરણોમાં અર્પણ કરાયેલી તમામ કિંમતી વસ્તુઓ, જેમાં સોના-ચાંદીના દાગીના અને ચાંદીની ઈંટોનો સમાવેશ થાય છે, તે બધું જ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો એક-એક પઈનો હિસાબ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર
આ પણ વાંચો: રામ મંદિર ચઢાવા વિવાદ વચ્ચે ચંપત રાયના રાજીનામાની ચર્ચા, ટ્રસ્ટના નિવેદનથી વધ્યો સસ્પેન્સ
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં ચંદા ચોરી મામલે 8 લોકો સામે ગુનો દાખલ, SIT તપાસ બાદ એક્શન
