@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
ખોફ અને ચિંતા વચ્ચે આખરે રોજિંદી જરૂરિયાતો જીતી ગઈ હોય તેમ લોકો કોરોના ના ડર ને ભૂલી બહાર નીકળવા લાગ્યા છે. ડર સામે ભૂખે જંગ જીત્યો છે. અને જરૂરિયાતો સામે જિંદગી હારી છે. તેમ છતાં લોકોની સમસ્યા તે જ છે કે, બેરોજગારીનો આલમ કોરોના કરતા પણ મોટી ચિંતા ઉપજાવે તેવો બિહામણો બનતો ચાલ્યો છે. અને આ બાબત અંગે જીડીપીનો આંકડો 8 % નીચો ઉતરવાનું નિષ્ણાતોએ અનુમાન રાખ્યું છે. પરંતુ હાલ અર્થવ્યવસ્થા તે હદે બીમાર છે કે, લોકોને કોરોનાથી બચાવવાની સાથે જીવવા માટે આત્મનિર્ભર બની શકે તે પ્રયાસો પણ હાથ ધરાવવા જોઈએ.
વધુમાં આ અંગે તમે જુવો કે, અર્થવ્યવસ્થા કઈ હદે બીમાર છે તો, તેનો અંદાજ 4 પ્રમાણોથી લગાવી શકાય છે. 1. જીડીપીના આંકડા 2. મોંઘવારીનો વધતો દર 3.બેરોજગારીનો દર અને 4 લોકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા પરિમાણો પરથી આ બાબતનો અંદાજ લગાવી શકાય છે કે અત્યારની સ્થિતિ શું છે? બઝારો પહેલી નજરે ભરચક જણાય છે, પરંતુ અંદરથી દુકાનો સુમસામ જણાય છે.. જીવન જરૂરિયાતની ચીજો સિવાય લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. અને વળી તેમની પાસે કોઈ ઓપ્શન પણ તો નથી ખરીદ શક્તિ માટે નાણાં એક હાથમાં થી બીજા હાથમાં જાય તે જરૂરી છે. રૂપિયાનું રોટેશન જ અટકી જાય તો ફ્લો ક્યાંથી આવે?
જો, કે આ માટે 26 માર્ચ 2020 માં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની ઘોષણા કરવામાં આવી હતી. જેથી કરીને ગરીબ મજૂરોને ખાવા-પીવા કે જીવવા સંબંધી કોઈ સમસ્યાઓ ન આવે. આ પેકેજમાં ગરીબો માટે 1.92 લાખ કરોડ જેટલા ખર્ચવાની યોજના હતી. જેમાં કેન્દ્ર સરકારે 2020માં આંકડા જારી કરીને કહ્યું હતું કે, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે 42 કરોડ જેટલા ગરીબો પર 68 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ કોરોનાની બીજી લહેર પછી લગભગ 80 કરોડ જેટલા ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
વધુમાં આ અંગે પૂર્વ નાણાં સચિવનું માનવું છે કે, 20 લાખ કરોડના રાહત પેકેજમાં રાહતની વાત ફક્ત 4 થી 5 લાખ કરોડ સુધીની જ હતી. જે અસલમાં સરકારે ખર્ચ કરવાનો હતો. જેમાં થી મહદ અંશે નાણાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં જ વાપરવામાં આવ્યા. તો આ પેકેજ અંગે પૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણવ સેન પણ જણાવે છે કે, 20 લાખ કરોડ ના પેકેજમાં લગભગ 15 લાખ કરોડ તો તે લેવડ-દેવડ અંતર્ગત હતા કે, જેમાં ઋણ ચૂકવવા અને કર્જ લેવા અંગે જ ફાળવવામાં આવ્યા હતા. અને આ હિસ્સાને સરકારે મહદંશે ખર્ચ પણ કર્યો. પરંતુ, આ પેકેજ મામલે લોકો તેમ સમજતા હતા કે, માર્કેટમાં 20 લાખ કરોડ રૂપિયા એક સાથે ઠલવાશે અને સામાન્યમાં સામાન્ય વેપારીઓને ટુકડે ટુકડે ધન્ધા કે રોજગારી બચાવવામાં મદદ મળશે. પરંતુ અસલમાં 2.5 -3 લાખ કરોડ જ આવ્યા છે. તેમજ પેકેજની ઘોષણા ના 6 માસ બાદ પણ કેટલીય યોજનાઓ માટે નિયમ પણ બનાવવામાં આવ્યા ન હતા. ને જે રકમ વાપરવામાં આવી તેમાંથી મોટાભગની ગરીબ કલ્યાણ અર્થે કે માળખાગત કામો માટે વાપરવામાં આવી. અને ખાસ તો અનાજ કીટ સિવાય બીજા ખાસ લાભો કોઈને પણ જોવા મળ્યા નહીં.
ત્યારે આખરે કહેવાનો આશય તે જ છે કે, આ સ્થિતિમાં ગરીબ વધુ ગરીબ કે જેના દાયરામાં હવે ધીમા પગલે મધ્યમ વર્ગ પણ આવી રહ્યો છે. તેને દેખીતો કોઈ ખાસ ફાયદો થયો નથી. તો અમીરો આ સ્થિતિમાં પણ વધુ અમીર બન્યા છે. જે નીતિ ઘડવૈયાઓ ની ખામી નો ચિતાર આપે છે. આર્થિક અસમાનતા, રોગચાળો અને માઝા મુકતી મોંઘવારી લોકોને બેહાલ કર્યા છે. ક્યાં આર્થિક પેકેજ થી તેમની આ હાલાકી દૂર થાય? કેમકે, સરકાર જે પેકેજો આપે છે તેનો સીધો ફાયદો કોઈ નાના કે માધ્યમ કદના વેપારીઓને સીધો નથી થયો. કેટલાય ધંધા રોજગારોના તાળા વખાઈ ચુક્યા છે, તેમને કોણ જાણે કોણ બેઠું કરશે? આ વસમી સ્થિતિ કેટલી લંબાશે તે કોઈ કહી શકે તેમ નથી. બાકી પેકેજોમાં સીધી વાતને બદલે ટેક્નિકલને આંકડાકીય માયાજાળો વધારે હોય તે પણ એક જમીની સચ્ચાઈ છે.