બિહારનું રાજકારણ આમેય વધુ ગરમ જ હોય છે. ત્યાં નીતિશકુમાર અને લાલુ પ્રસાદ પ્રણાલિકાગત હરીફ છે અને નીતિશ કુમાર લાંબા સમયથી સત્તાપર છે. તો લાલુ સત્તાથી બહાર છે. નીતિશકુમાર સ્વચ્છ ચહેરો ગણાય છે – વિકાસ પુરૂષ પણ કહેવાય છે પંરતુ તેઓ અવાર નવાર જાેડીદારો બદલતા રહે છે. અને પોતાની સત્તા ટકાવી રાખે છે. લાલુ પ્રસાદ છ વર્ષના જેલવાસ અને માંદગી બાદ ફરી સક્રીય થઈ મેદાનમાં આવ્યા છે. બિહારમાં તેમણે વિશાળ રેલી સાથે રણટંકાર કર્યો છે. બિહારમાં જ્યારે કોંગ્રેસ અને રાજદ વચ્ચે શાબ્દીક યુધ્ધ ચાલે છે તેવે સમયે લાલુ પ્રસાદ યાદવની એન્ટ્રી થાય તેના કારણે નવા સમીકરણો સર્જાવાની શક્યતા રાજકીય વિવેચકો નિહાળી રહ્યા છે.
આમ તો નીતિશકુમાર પ્રથમ વખત તો ભાજપના ટેકા અને ભાગીદારી સાથે જ સત્તા પર આવ્યા હતા. ૨૦૧૩ સુધી ભાજપ સાથે જ હતા. આ સમય ગાળા પહેલા તેમણે કેન્દ્રમાં હોદ્દો પણ ભોગવ્યો હતો. લાંબા સમયથી તેઓ બિહારના રાજકારણમાં વ્યસ્ત છે. છતાં પણ તેમના ટેકેદારો તેને અવાર નવાર ભાવિ વડાપ્રધાન તરીકે પ્રસ્તુત કરતાં રહે છે. નીતિશકુમારને પણ દિલ્હીના સિંહાસન પર બેસવાનો મમતા બેનરજી અને અન્ય નેતાઓની જેમ અભરખો છે પણ તેમનો પક્ષ જેડીયુ તેનું કદ બિહારની બહાર બહુ વધારી શકતો નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૭ બેઠકો લડી ૧૭ મેળવનાર નીતિશકુમાર વધુ જનાધાર મેળવનારા નેતા હોય તેવું લાગતું હતું પરંતુ ભાજપ અને અન્ય નાના પક્ષોનો દેખાવ પણ સારો જ હતો તે વખતે રામવિલાસ પાસવાનના પક્ષે છ બેઠકો જીતી હતી પરંતુ ૨૦૨૦માં કોરોના કાળ વચ્ચે જે ચૂંટણી યોજાઈ તેમાં નીતિશકુમાર ભાજપની વ્યૂહબાજીના કારણે કદ પ્રમાણે વેતરાઈ ગયા. ૨૦૧૫ની ચૂંટણીમાં બીજા નંબરના પક્ષ બનેલો જેડીયુ ૫૩ બેઠકોમાં સમેટાઈ ગયો પક્ષ તરીકે આરજેડી સૌથી મોટો પક્ષ હતો. તો ભાજપ બીજા નંબરે હતો છતાં ગઠબંધન (એન.ડી.એ.) જાળવવા ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવ્યા પણ તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ પોતાના પક્ષના ગોઠવી દીધા ટુંકમાં નીતિશકુમારને ભાજપની મરજી મુજબ શાસન કરવું પડે તેવી સ્થિતિ સર્જી દીધી.
૨૦૧૫માં જેડીયુ કોંગ્રેસ અને આરજેડી સાથે હતું. જેડીયુને આરજેડી કરતા ઓછી બેઠક મળી હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા પણ દોઢ – પોણા બે વર્ષના ટુંકાગાળા બાદ તેઓ ભાજપની પંગતમાં ગોઠવાઈ ગયા. હવે લાલુ પ્રસાદ જામીન પર છૂટ્યા બાદ માંદા પડ્યા અને હવે સ્વસ્થ થઈને પાછા મેદાનમાં આવી ગયા છે. લાલુ પ્રસાદ બિહારના રાજકારણમાં સક્રિય થયા બાદ સૌથી વધારે અસર નીતિશકુમારને થઈ શકે તેમ છે. ભાજપ તો પોતાની રીતે પોતાનું કદ વધારવા માટે મથી રહ્યો છે. તેનું કદ ક્યારે વધે તે નક્કી નથી. તો નીતિશકુમારે એક એવું વિધાન કર્યું કે લાલુ પ્રસાદ મારી હત્યા કરાવી શકે છે. તેમનું આ વિધાન રાજકીય હતું. એક પ્રકારની હતાશાનું પરિણામ હતું. તેમનાથી દૂર ખસી રહેલા ભાજપના આગેવાનોની સહાનુભૂતિ મેળવવા માટે હતું તેવું ઘણા રાજકીય વિશ્લેષકો માને છે.
જાે કે લાલુપ્રસાદ પણ ગાંજ્યા જાયતેમ નથી નીતિશકુમારે આ પ્રકારનું નિવેદન કર્યા બાદ બે દિવસ તો લાલુ પ્રસાદ કે નીતિશકુમાર એ બે માંથી કોઈ કશું બોલ્યા નહિ પરંતુ પછી બિહારમાં પેટા ચૂંટણીના પ્રચાર માટે લાલુ પ્રસાદની જે રેલી યોજાઈ હતી તેમાં લાલુ પ્રસાદે પોતાના આગવા અંદાજમાં કહ્યું કે નીતિશને હું શું મારવાનો હતો તેની મેળેજ મળશે ? ટુંકમાં મારે તેને મારવાની જરૂર નથી. લાલુ પ્રસાદે ૨૦૧૫ની ચૂંટણીના પરિણામોને યાદ કરીને કહ્યું કે તે વખતે પ્રજાએ તેજસ્વી યાદવને મુખ્ય મંત્રી બનાવવા ચૂકાદો આપ્યો હતો. પણ અમે ઉદારતાથી નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓ અમારી સાથે મહાગઠબંધનમાં હતા ત્યારે કહેતા હતા કે હું જિંદગીભર ભાજપમાં નહિ જાઉ પણ મોકો મળતા ભાજપના ખોળામાં બેસી ગયા. લાલુ પ્રસાદ પોતે રેલ્વે પ્રધાન તરીકે કેન્દ્રમાં પોતે બજાવેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે રેલવેના તંત્રને સુધારવાની સાથે લોકો પર કોઈ બોજ નાખ્યો નહોતો. અત્યારે પ્લેટ ફોર્મ ટિકિટના ૫૦ રૂપિયા થઈ ગયા છે. તે શું સુચવે છે ? અને નીતિશકુમાર અત્યારે આવા લોકોની સાથે છે.
આમ બિહારમાં હવે નીતિશ અને લાલુ વચ્ચે શાબ્દિક યુધ્ધ શરૂ થયું છે. હકિકતમાં આ બન્ને નેતાઓ પોતાની યુવાવસ્થા દરમ્યાન ૧૯૭૪ના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને ૧૯૭૫ બાદ કટોકટી સામેના આંદોલન સમયે જયપ્રકાશ નારાયણના શિષ્યો હતા. આંદોલન દ્વારા જ તેમણે રાજકારણમાં પા – પા પગલી પાડી હતી. બન્ને બિહારના સાદગીના પર્યાય સમા તત્કાલીન મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરના પણ ચેલા ગણાય છે અને પ્રારંભ કાળમાં તેઓ અભ્યાસી અને આક્રમક સમાજવાદી નેતા ડો. રામનોહર લોહિયાના પણ અનુયાયી હતા. હવે જેપી એટલે કે જય પ્રકાશ નારાયણના શિષ્યો ગણાતા આ બન્ને આગેવાનો અમૂક સમય સાથે રહ્યા પછી સામે આવ્યા ફરી પાછા અમુક સમયે સાથે આવી ગયા, અને હવે સામ સામે છે. નીતિશકુમારની ભાજપ સાથેની બીજી ઈનીંગ જરાય સંતોષકારક નથી. કેન્દ્રમાં જેડીયુના ચાર પ્રધાનો બનાવવાની તેમની વાત સ્વીકારાઈ નથી. જેના માટે તેઓ ભાજપની સાથે બેઠા તેવું કહેવાય છે તે પ્રશ્ન એટલે કે બિહારને વિશેષ દરજ્જાે આપવાની વાત અભેરાઈએ ચડી ગઈ છે. અત્યારે ભાજપ અને નીતિશકુમાર વચ્ચેના સંબંધો પહેલા જેવા ઉષ્માભર્યા નથી. ત્યારે લાલુ પ્રસાદ સાથે શાબ્દિક યુધ્ધ છેડવા પાછળ શું કારણ હશે તે ચર્ચાનો વિષય છે.
IAS Transfer / નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..
આરોપ / ડ્રગ્સ પાર્ટીમાં સામેલ દાઢીવાળો કોણ? નવાબ મલિકે કર્યો ખુલાસો અને શેર કર્યો વીડિયો