@અતિબ સૈયદ , અમદાવાદ.
અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક વધતો જાય છે. આપણે વાત કરીએ તો અમદાવાદના 5 પોલીસ સ્ટેશનમાં 5 દિવસમાં 6 મારામારીની ફરીયાદ નોંધાઇ છે. અસામાજીક તત્વોના કારણે લોકો હવે કેટલા સુરક્ષીત છે તે પણ એક સવાલ છે. છેલ્લા 5 દિવસમાં પોલીસ કર્મચારી પર હુમલાના બે બનાવ બન્યા છે. 5 દિવસમાં 6 જીવલેણ બનાવ બન્યા. ત્યારે પોલીસ કે કાયદાનો લુખ્ખા તત્વોને કોઇ બીક નથી તેવુ લાગી રહ્યુ છે. રથયાત્રા પૂર્વે અમદાવાદની સુરક્ષા સજ્જ કરવામાં આવી છે. ત્યારે અસામાજીક તત્વોનો આતંક ઓછુ થયુ હોય તેવુ લાગી રહ્યું નથી. કોટ વિસ્તારમાં પોલીસ વાહન ચેકીંગ અને પેટ્રોલીગમાં વધારો કર્યો છે. પોલીસ આટલી કડક હોવા છતા ગુનેગાર બેફામ બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.
1) જ્યારે કાલની વાત કરીએ તો જમાલપુરમાં ફરી જીવલેણ હુમલાની ઘટના બની હતી. તેમાં પોલીસને બાતમી કેમ આપે છે તે બાબતે બે અસામાજીક તત્વોએ એક વ્યક્તિ પર છરીના ઉપરા છાપરી બે ધા મારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરા તફરી મચી હતી. તે મામલે ગાયકવાડ હવેલી પોલીસ બન્ને આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
2) હવે વાત કરીએ અગાઉ એક દિવસ પહેલાની તો જમાલપુરના શાકમાર્કેટ પાસે પોલીસ જવાન પર જ હુમલો થયો હતો. પોલીસ જવાન દ્વારા રીક્ષા રોકાવતા રીક્ષા ચાલક ઉશકેરાઇ પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. જેથી આવુ સમજી શકાય છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર નથી. હવે એવી જ બીજી ઘટના બની હતી.
3) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં લૂંટના ઇરાદે આવેલ વ્યક્તિને પોલીસ અટકવવા જતા પોલીસ પર હુમલાની ઘટના બની હતી. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ પર હુમલો થયો હતો. લૂંટના ઇરાદે આવેલ આરોપી લૂંટ કરવા ગયો ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ત્યા હાજર હતા. તે આ આરોપીને પકડવા જતા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. જેમા પોલીસ જવાનના હાથમાં ઇજા પણ પહોંચી હતી.
4) જો ઇસનપુર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો નજીવી તકરારમાં ગુંડાઓએ બેખોફ બનીને તલવાર જેવા ધાતક હથીયારો હાથમાં લઇને એક વયક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો જે મામલે 7 ઇસમો સામે પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી હતી
5) રખીયાલ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રખીયાલમા હાથમાં તલવાર લઇ બાઇક પર સવાર લુખ્ખા તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્તને હાથના કાંડાના ભાગે ઘા વાગ્યો હતો. તલવારના ઘા મારી બાઇક પર આવેલ 3 લુખ્ખા તત્વો નાસી ગયા હતા.
6) કુષ્ણનગરમાં પણ પેટ્રોલ પંપમાં મોડી સાંજે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. પેટ્રોલ પંપ પર ધાતક હથીયાર વડે હુમલો કરીને માહોલ ડહોળાય તેવા પ્રયાસો કરતા કુષ્ણનગરના સીનીયર પોલીસ ઇન્સપેકટર દ્વારા તેમની વિરુદ્દ તપાસ હાથ ધરી હતી
ઉલ્લેખનીય છે કે જો 5 દિવસમાં આવા 6 જીવલેણ હુમલાના બનાવો બની જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ પર હુમલાના બનાવ વધતા હોય તેવો દેખાઇ રહ્યો છે. લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર નથી. હુમલો કરનારા તો સામાન્ય લોકો હોય કે પોલીસ હોય બન્ને પર હુમલો કરવામાં વિચારતા નથી. અમદાવાદ પોલીસ દ્વારા સલામતીના વાયદા કરવામાં આવી રહ્યા છે. સલામતીના વાયદા શું માત્ર કાગળ પર જ છે ? થોડા દિવસ અગાઉ જમાલપુર અને યુનિવર્સિટી વિસ્તારમાં તો પોલીસ જવાન પર જ હુમલો થયો હતો. જેથી સુરક્ષાકર્મી જ સુરક્ષીત નથી, તો સામાન્ય જનતા કેટલી સુરક્ષીત હશે.