પેટ્રોલના ભાવ આસમાને હોવાથી લોકો સરકારથી નારાજ છે ત્યારે સોમવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોથી પરેશાન સામાન્ય લોકોની આશાઓને વધુ એક ઝટકો આપ્યો છે.તેમણે કહ્યું કે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકાતા નથી. તેમમે કહ્યું કે લોકો ચિંતા કરે છે તે વાજબી છે. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો ચર્ચા ન કરે ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી. નાણામંત્રી સીતારમણે કહ્યું કે એક્સાઈઝ ડ્યુટીમાં હાલ કોઈ કાપ મૂકી શકાય નહીં.
તેમણે જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દ્વારા જારી કરાયેલા ઓઇલ બોન્ડ્સ માટે વ્યાજની ચુકવણી કરવામાં આવતા સરકારી ખજાના પર બોજો છે. અત્યાર સુધી, સરકારે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ઓઇલ બોન્ડ્સ પર 62,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ 2026 સુધીમાં આપણે હજુ 37 હજાર કરોડ રૂપિયા વધુ ચૂકવવાના છે.
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વ્યાજની ચુકવણી છતાં 1.30 લાખ કરોડથી વધુની મુખ્ય રકમ બાકી છે. જો અમારા પર ઓઇલ બોન્ડનો બોજ ન હોત તો અમે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની સ્થિતિમાં હોત. નાણામંત્રીએ વાહનોના ઈંધણના ભાવની હાલની સ્થિતિને માત્ર કોંગ્રેસની નીતિઓને જવાબદાર ગણાવી.
યુપીએ સરકાર પર પ્રહાર કરતા સીતારમણે કહ્યું કે તેઓએ 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ ઇશ્યૂ કરીને તેલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. હું અગાઉની યુપીએ સરકારની જેમ યુક્તિઓ કરી શકતો નથી. તેનાથી અમારી સરકાર પર બોજ વધી ગયો છે અને તેના કારણે અમે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકતા નથી