રાજકોટમાં ગઇકાલની સરખામણીમાં આજે ફરીથી કોરોનાના કારણે મૃત્યુઆંકમાં ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે તે મુજબ રાહતના સમાચાર એ કહી શકાય કે ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલની બહાર લાગતી એમ્બ્યુલન્સની કતારોમાં ઘટાડો થયો છે. તેમજ હોસ્પિટલની અંદર પણ દર્દીઓની ભીડ ઓછી જોવા મળી છે.રાજકોટમાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઇ રહેલા 66 દર્દીઓના મોત થયા છે. જોકે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં 141 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 32438 કેસ નોંધાયા છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4275 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 692 દર્દીઓ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક અધ્યાપકનું કોરોનાથી નિધન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક અધ્યાપકનું કોરોનાથી નિધન થયું છે. કોમર્સ ભવનના અધ્યાપક અંજુબેન સોંદરવાએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મહિલા અધ્યાપક પહેલા અધ્યાપક કુટીરમાં સારવાર લઇ રહ્યાં હતા. બાદમાં ઓક્સિજન લેવલ ઓછું થતા પહેલા ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા દમ તોડ્યો હતો.
ગઇકાલે 692 દર્દીઓ કોરોનામુક્ત
કુલ ટેસ્ટ :- 8535
કુલ પોઝિટિવ :- 363
પોઝિટીવ રેઈટ :- 4.25 %
કુલ ડીસ્ચાર્જ :- 692
આજે તા. 29 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ – 141
કુલ પોઝિટિવ કેસ :- 32438
કુલ ડિસ્ચાર્જ : 27849
રિકવરી રેઈટ : 86.22 %
કુલ ટેસ્ટ :- 981165
પોઝિટિવિટી રેઈટ :- 3.29 %
સંજીવની રથના મેડિકલ સ્ટાફ દ્વારા મેયરની મુલાકાત
રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવને કોરોના પોઝિટિવ નિદાન થતા તેઓ હોમ આઇસોલેટ થયા હતા. દરમ્યાન આજે રાજકોટ મહાનગરપાલિકાના સંજીવની રથના મેડિકલ સ્ટાફ દ્વારા મેયરની મુલાકાત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા મેયરનું ઓક્સિજન લેવલ ચેક કરવા ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સંબંધી પૃચ્છા કરવામાં આવી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજીવની રથ દ્વારા હોમ આઇસોલેશન હેઠળ રહેલા કોરોના દર્દીઓના ઘેર વિઝિટ કરી ફોલોઅપ લેવામાં આવે છે.
ઓક્સિજનની સંગ્રહખોરી પર લગામ કસતા કલેકટર, વેક્સિનેશન માટે આ યોજના
રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડરની દર્દીઓના સગા સંગ્રહખોરી કરી રહ્યાં છે. ત્યારે ખરેખર જે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રિફીલિંગ સુધીના નેટવર્ક ઉપર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, વેક્સિનેશન વધારવા જ્ઞાતિ-સમાજની વાડીમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે.બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ખરેખર જેમને જરૂરિયાત છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે. તો સાથે જ વેક્સિનેશનનું પ્રમાણ વધારવા વધુ એક નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મનપાના આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન કરવામાં આવતું હતું. હવેથી જ્ઞાતિ-સમાજની વાડીઓમાં વેક્સિનેશનના કેમ્પ કરવામા આવશે.