પંજાબમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના બે ધારાસભ્યને કેનેડામાં પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યને કેનેડાના ઓટાવા એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરીને તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પંજાબ વિધાનસભામાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો કુલતાર સિંગ સંધવા અને અમરજીત સિંહ સંદોઆ કેનેડા ગયા હતા. જ્યાં તેમની કેનેડાના ઓટાવા એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કર્યા બાદ બંને ધારાસભ્યની પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ કર્યા બાદ બંનેને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલતાર સિંહ સંધવા પંજાબના કોટકપુરા વિધાનસભા બેઠક પરથી અને અમરજીત રોપડ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીના આ બંને ધારાસભ્ય હોલીડે ટ્રિપ પર કેનેડા ગયાં હતાં. પરંતુ જેવા જ બંને ઓટાવા એરપોર્ટ પર ઉતર્યા કે તુરત જ કેનેડા પોલીસ દ્વારા તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બંને નેતાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે આ પછી તેમને તરત જ છોડી મુકવામાં આવ્યાં હતાં.
જોકે તેમને કેનેડામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતાં. બંને ધારાસભ્યો આજે ભારત પરત ફરશે. જોકે બંને ધારાસભ્યો સાથે કેનેડા પોલીસ દ્વારા આવું કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી એક યા બીજા કારણોસર સતત ચર્ચામાં રહ્યાં છે. AAP ના ધારાસભ્ય અમરજીત સિંહ પર ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ બંને ધારાસભ્યોના નામ માફિયાઓ સાથે જોડાયેલા રહ્યાં છે.