ઇસ્લામાબાદ,
શીખોના પવિત્ર ધામ એવા કરતારપુર કોરિડોરના ખોલ્યા બાદ પાકિસ્તાન દ્વારા દુનિયાભરમાં પોતાની વાહવાહી કરવા માટે લાગી ગયું છે. જો કે વચ્ચે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં વિદેશ મંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, તેને લઇ આ સરકારનો ઈરાદો સ્પષ્ટ થઇ રહ્યો છે.

કરતારપુર કોરિડોર અંગે પાક.ના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું હતું કે, “કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભારત સરકારને આમંત્રિત કરવા માટે ઇમરાન ખાનની આ ગુગલી હતી જેમાં મોદી સરકાર બોલ્ડ થઇ ગઈ છે”.
જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે સુષ્મા સ્વરાજે સખ્ત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “બને દેશોની દ્વિપક્ષીય વાતચીત પહેલા ઇસ્લામાબાદ ભારત વિરુધ બોર્ડર પાર આતંકી ગતિવિધિઓને રોકે. આતંકવાદ અને વાતચીત એકસાથે થઇ શકશે નહિ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન દ્વારા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ સમારોહમાં તેઓ હાજર રહ્યા ન હતા.
જ્યારે મોદી સરકાર તરફથી કેન્દ્રીયમંત્રી રસિમરત કૌર બાદલ, હરદીપસિંહ પૂરી તેમજ પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા.
