ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી ભયંકર સુનામીએ દેશમાં કહેર મચાવી દીધો છે. આ સુનામીને લીધે મૃત્યુ આંક થમવાનું નામ જ નથી લઇ રહ્યો.
શનિવારે આવેલી આ ભયંકર સુનામીને લીધે અત્યાર સુધી ૩૭૩ લોકોના મોત થયા છે અને ૧૫૦૦થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. જયારે ૧૨૮ લોકો હજુ સુધી પણ લાપતા છે.
ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં વધુ એક કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
સરકાર દ્વારા આ મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે તેવું કહેવામાં આવ્યું છે.બચાવ કાર્યકર્તા, સુરક્ષાદળ અને ડોક્ટરની ટીમે બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે.
ઇન્ડોનેશિયામાં આવેલ આ કુદરતી આફત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. તેમણે પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ઇન્ડોનેશિયામાં આવેલ આ હોનારત વિચારની બહાર છે. ૨૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો સ્વસ્થ થઇ જાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા તમારી જોડે જ છે.
ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ આફત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ભારત મદદ માટે તૈયાર છે તેમ કહ્યું હતું. તો બીજી તરફ દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ સહાનુભુતિ વ્યક્ત કરી હતી અને ઇન્ડોનેશિયાની પડખે જ ભારત ઉભું છે તેમ કહ્યું હતું.