કાઠમંડુ: નેપાળ સરકાર દ્વારા એક નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિના સંતાને પોતાની આવકના પાંચથી દસ ટકા રકમ પોતાના અભિભાવકો (મા-બાપ)ની દેખભાળની માટે તેમના ખાતામાં જમા કરાવવી પડશે તેમ નેપાળ સરકારના એક પ્રવક્તાએ આ સંદર્ભે શુક્રવારે જણાવ્યું હતું.
વડાપ્રધાનના પ્રેસ સલાહકાર કુંદન અરયાલના જણાવ્યા મુજબ કેબિનેટની બેઠકમાં આ પ્રકારની જોગવાઈ સાથે વરિષ્ઠ નાગરિક કાનૂન 2006માં સંશોધન અંગે એક વિધેયક સંસદમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરયાલે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવિત વિધેયકનું મુખ્ય લક્ષ્ય વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ નિયમો અનુસાર સંતાને પોતાની આવકની પાંચથી દસ ટકા રકમ પોતાના વૃદ્ધ માતા-પિતાના બેંક ખાતામાં જમા કરાવવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, વારંવાર એવા સમાચારો આવતા હતા કે, કેટલાક સુખી સંપન્ન લોકો દ્વારા પોતાના માતા-પિતાને અવગણીને છોડી મૂકતા હોય છે.
નવા કાયદા મારફત અમે આ પ્રકારની પ્રથાને રોકીને વૃદ્ધ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં માંગીએ છીએ. વર્તમાન વરિષ્ઠ નાગરિક કાનૂન 2006 અંતર્ગત 60 વર્ષથી વધુ ઉમરના લોકોને વરિષ્ઠ નાગરિક માનવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળની સરકાર તેમના વરિષ્ઠ નાગરિકોની દેખરેખ માટે આવો કાયદો ઘડીને તેમની વૃદ્ધાવસ્થાને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી છે.
ભારતમાં રેમન્ડના માલિક પિતા-પુત્રનું ઉદાહરણ તાજું છે
ભારતમાં પણ કેટલાય સુખી સંપન્ન પરિવારના લોકો દ્વારા તેમના વૃદ્ધ માતા-પિતાની દેખરેખ કરવાના બદલે વૃદ્ધાશ્રમમાં મોકલી આપતા હોય છે. તો કેટલાક તેમના વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકીને રસ્તે રઝળતા કરી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
તેનું તાજેતરનું ઉદાહરણ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયા અને તેમનો પુત્ર ગૌતમ સિંઘાનિયા છે. 80 વર્ષીય વિજયપત સિંઘાનિયા પોતાના હક માટે પોતાના પુત્ર સામે લડી રહ્યા છે.