સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ વિકરાળ બનતી જાય છે. દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એવામાં રાજકોટ સહિતના શહેરોમાં પરિસ્થિતિ દિન પ્રતિદિન બદત્તર બનતી જાય છે.રાજકોટ અત્યારે કોરોનાના અત્યંત ભયાનક કાળમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, તો ઓક્સિજન અને ઈન્જેક્શન માટે દર્દીઓએ રીતસરની રઝળપાટ કરવી પડી રહી છે. દિવસેને દિવસે બગડી રહેલી સ્થિતિને કાબૂમાં લેવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે.ગુજરાતીમાં એક કહેવત છે “આપ મુવા વિના સ્વર્ગેના જવાય” જેને સાર્થક કરીને બતાવી છે રાજકોટની એક સોસાયટી એ કે જ્યાં સોસાયટીના રહીશો દ્વારા હોમ આઇસોલેશનના માટે ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં સૌથી ખરાબ જો કોઈની હાલત હોય તો તે છે હોમ આઈસોલેટ દર્દીની ઘરમાં દાખલ હોય તેને ન તો પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો છે કે, ન તો તેને વ્યવસ્થિત સારવાર મળતી. આ સમસ્યા વિકરાળ બનતી જતી હોવાને કારણે હવે શહેરની વિવિધ સોસાયટીઓ અને બિલ્ડિંગ્સ આગળ આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં રાજકોટના સૌથી મોટા એવા 22 માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે શહેરના જાણીતા બિલ્ડર મુકેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં માથાથી લઈને પગ સુધીની બીમારીઓની સારવાર કરતાં 45થી વધુ ડોક્ટરો નિવાસ કરી રહ્યા છે અને આ તબીબોની સેવા બિલ્ડિંગના 105 પરિવારોને મળી રહે તે માટે ક્લબ હાઉસમાં જ કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભીક તબક્કે અહીં 6 બેડ ઉભા કરવામાં આવ્યા છે અને ઓક્સિજન, નર્સિંગ સ્ટાફ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સદ્ભાગ્યે હજુ સુધી એક પણ બેડ ઉપર દર્દી દાખલ નથી. આમ છતાં જો કોઈને હળવાં લક્ષણો હોય અને તે ઘરમાં દાખલ થવા માગતું ન હોય તો તે આ સેન્ટરમાં દાખલ થઈને સારવાર મેળવી શકશે.