ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14 મી ડિસેમ્બરે યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટેનો ધમધમાટ વધ્યો છે. સોમવારે સાંજે અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીસભા યોજાવાની છે ત્યારે સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારમાં સુરક્ષા જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. રીવરફ્રન્ટ ખાતે યોજાનારી જાહેરસભાના કારણે સભા સ્થળ તરફ જનારા માર્ગો પર સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લઇને સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સોમવાર સવારથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધી કરવામાં આવી છે. વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા હોવાથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને અલાયદી પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. બીજી બાજુ ભાજપ ગુજરાત સંગઠનના નેતાઓ અને હોદ્દેદારો પણ સોમવાર સવારથી સભા સ્થળે પહોંચીને નરેન્દ્ર મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પ્રચારને અનુલક્ષીને અમદાવાદ શહેરમાં અગાઉ પણ નિકોલ વિસ્તારમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજાઈ હતી.