ભરૂચ,
ભરૂચ જિલ્લાના આમોદમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. આમોદના સુથાર ફળીયામાં રહેતા બ્રિજેશભાઈ નવીનભાઈ પટેલના બંધ મકાનને નિશાન બનાવી ગત રાત્રીના સમયે તસ્કરોએ રોકડ રકમ સોનાના ઘરેણાં સહિત એક લાખ 45 હજારની માલમત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બ્રિજેશભાઈ પટેલ પોતાનું ઘર બંધ કરીને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી ગત રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનની આગળની લોખંડની જાળીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને સર-સામાન વેર-વિખેર કરીને સોનાના ઘરેણાં સહિત અંદાજિત એક લાખ 45 હજારની માલમત્તાની હાથસફાઈ કરીને ફરાર થઇ ગયા હતા.
ત્યારે ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે ગુજરાતના ગવર્નર આવવાના હોઈ પોલીસનો ખડકલો કરી દેવાયો હોવા છતાં શહેરના હાર્દસમાં વિસ્તારમાં ચોરી કરીને જાણે ચોરો પોલીસને પડકારી રહયા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. અન્ય એક ઘટનામાં આમોદના સ્ટેશન રોડ પર આવેલ એક જવેલર્સની દુકાનનું શટર તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ના હતા. જયારે આ બાબતે જવેલર્સના માલીકે પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હતું..