Ahmedabad News: ભોજનમાં જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બનતી જાય છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેનમાં એક મુસાફરને કડવો અનુભવ થયો છે. તેજસ ટ્રેનમાં મુસાફરે બ્રેકફાસ્ટ મંગાવ્યું હતું. જેમાંથી જીવાત(ઈયળ) નીકળતા તેને સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી રેલ મંત્રીને તેની જાણ કરી છે.
હવે રોજબરોજ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે ત્યારે પ્રિમિયમ ગણાતી ટ્રેન એવી અમદાવાદથી મુંબઈ જતી તેજસ ટ્રેનમાં મુસાફરે નાસ્તામાં ઉપમા મંગાવ્યો હતો. જેમાં પેકેજ ખોલતા ઈયળ નીકળી હતી જેને લઈને ટ્રેનમાં બેઠેલા મુસાફરો ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે એક્સ (ટ્વીટ) પર આઈઆસીટીસી અને રેલ્વે મંત્રીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. યુવાને ફરિયાદ કરતા કહ્યું કે, મેં અડધો ઉપમા ખાઈ લીધો હતો પરંતુ પૂરો નાસ્તો ખાઈ લીધા બાદ તબિયત ખરાબ થાય તો તેની જવાબદારી કોણ લેતું?
જોકે, ફરિયાદના જવાબમાં આઈઆસીટીસીએ ઠંડો જવાબ આપતા કહ્યું કે અમે ફરીથી ધ્યાન રાખીશું. તેના માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે. ઘણી વખત આવા તંત્ર કે અધિકારીઓ આવો મોળો પ્રતિસાદ આપતા હોય છે. પરંતુ પ્રજાના હિત માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી તેવું જોવા મળ્યું છે.